પાટીદાર અનામત આંદોલન બાદ અમદાવાદ સહિત રાજયભરમાં થયેલી હિંસા, અથડામણ અને સરકારી તેમ જ ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં પાટીદારો વિરૂદ્ધ અમદાવાદ સહિત રાજયભરમાં સંખ્યાબંધ કેસો નોંધાયા હતા. જો કે, રાજય સરકાર તરફથી બાદમાં અપાયેલી બાંહેધરી મુજબ, એક પછી એક પાટીદારો વિરૂધ્ધના કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરના બાપુનગર અને કૃષ્ણનગર પોલીસમથક વિસ્તારના પાટીદારો વિરૂધ્ધના નવ આરોપીઓ સામેના બે કેસો પાછા ખેંચાતા પાટીદારોને મોટી રાહત મળી છે. રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટ દ્વારા આ બંને કેસો પાછા ખેંચવા સેશન્સ કોર્ટ સમક્ષ અરજી કરી વિનંતી કરવામાં આવી હતી, જે એડિશનલ સેશન્સ જજ અંબાલાલ આર.પટેલે ગ્રાહ્ય રાખી બંને કેસો પાછા ખેંચવાની મંજૂરી આપી હતી. રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે બંને કેસો પરત ખેંચવા અંગે કરેલી અરજીમાં મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા પાટીદાર આરોપીઓ સામે બાપુનગર અને કૃષ્ણનગર પોલીસમથકમાં ગુનો દાખલ કરાયો હતો અને તેના અનુસંધાનમાં આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ કરાયું હતું. પરંતુ રાજય સરકારે પ્રજાના વિશાળ હિતમાં ઉપરોકત આરોપીઓ સામેનો કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હોઇ આ કેસ આગળ ચલાવવાનો કોઇ ઇરાદો નથી અને તેથી સીઆરપીસીની કલમ-૩૨૧ હેઠળ આરોપીઓ સામેનો કેસ પરત ખેંચવા ન્યાયના હિતમાં યોગ્ય હુકમ કોર્ટે કરવો જોઇએ. સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે સરકારપક્ષની અરજીઓ મંજૂર કરી ઉપરોકત બંને કેસો પાછા ખેંચવાની પરવાનગી આપી હતી અને બંને કેસના નવ આરોપીઓને બિનતહોતમ છોડી મૂકવા હુકમ કર્યો હતો.