ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ આજે ગાંધીનગરમાં વિધાનસભા પાછળ હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધી યોજાઈ હતી, જેમાં ભુપેન્દ્ર પટેલે રાજ્યના ૧૮માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા.
શપથ લીધા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. નવી સરકારમાં ૮ ધારાસભ્યોને કેબિનેટ મંત્રી, ૨ ધારાસભ્યોને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હાવાલો જ્યારે ૬ ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા. આ શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતાઓ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપના તમામ નવા જીતેલા ધારાસભ્યો પણ શપથવિધીમાં હાજર હતા. ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા પણ નવી સરકારની શપથવિધીમાં ઉપસ્થિત રહ્યાં હતા.
હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા શપથવિધિ સમારંભમાં બપોરે બે વાગ્યાના ટકોરે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથવિધિ સમારંભમાં પીએમ મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ સિનિયર નેતાઓ અને સાધુસંતો પણ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા છે. પૂર્વ સીએમ વિજય રુપાણી તેમજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. બે વાગ્યે શરુ થયેલો શપથવિધિ સમારંભ અડધો કલાકમાં પૂર્ણ થઈ ગયો હતો.
શપથવિધિમાં જે ક્રમે મંત્રીઓના નામ લેવામાં આવ્યા હતા તે અનુસાર, કનુ દેસાઈને સરકારમાં નંબર ટૂનું સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે અગાઉ શપથ લીધા હતા ત્યારે નંબર ટુ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી હતા, પરંતુ ચૂંટણીના થોડા દિવસો પહેલા જ તેમને કટ ટુ સાઈઝ કરાયા હતા અને ત્યારબાદ તેમને વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપવામાં પણ નહોતી આવી. તેવી જ રીતે, ભૂપેન્દ્ર પટેલની જૂની ટીમમાંથી સિનિયર મંત્રી ગણાતા જીતુ વાઘાણીની પણ બાદબાકી થઈ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ