ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતુ કે, યુવા મોરચા તેમજ મહિલા મોરચાની જૂથ સંરચના કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ‘કોંગ્રેસ મુક્ત બુથ’ અભિયાનને પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં થયેલા વિકાસના આયામો અને પ્રજા કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૌ કટિબધ્ધ બને. વાઘાણીએ જણાવ્યુ હતું કે, મહિલા તથા યુવા મોરચાના વિધાનસભા સંમેલનો થકી તેમજ આઈ.ટી. અને સોશીયલ મીડીયા વિભાગે વોટ્સએપ ગૃપ દ્વારા સતત સંવાદ અને સંકલન દ્વારા પ્રજા સમક્ષ પહોંચવું જોઇએ.
પ્રદેશના વિવિધ વિભાગો અને પ્રકલ્પોની સંયુક્ત બેઠક અને મહિલા મોરચા અને યુવા મોરચાના પ્રદેશ હોદ્દેદારશ્રીઓની બેઠકમાં તેમજ આઈ.ટી. તથા સોશીયલ મીડીયા વિભાગની અત્યાર સુધી થયેલ કામગીરીનું મૂલ્યાંકન તેમજ આવનાર સમયમાં સંગઠનાત્મક વિવિધ કાર્યક્રમોના આયોજન વિશે ઘનિષ્ટ ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. મહિલા અને યુવા મોરચાની સંયુક્ત બેઠકમાં કેન્દ્રિય કાર્યાલય કો-ઓર્ડિનેટર અરવિંદ મેનને જણાવ્યું હતુ કે, જી.એસ.ટી.ના કારણે આટા-દાળ અને જીવન જરૂરીયાતની વસ્તુઓ ઉપર કોઇપણ પ્રકારનો જી.એસ.ટી. કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવ્યો નથી. જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટી રાહતના સમાચાર છે, જી.એસ.ટી.ને લીધે મોંઘવારી પણ ઘટશે.