ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની સંખ્યા ઓછી થઇ રહી છે. જે અંતર્ગત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થળ કેવડિયા કોલોની ખાતે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ આ સ્થળ પર દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હતા.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીની શરૂઆત થતા અહીં પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ બાદ અહીં પ્રતિદિન સરેરાશ ૧૦ હજાર પ્રવાસીઓ આવતા હતા. પરંતુ ગરમીના કારણે આ સંખ્યામાં ઘટાડો થયો છે. અને શુક્રવારે તો માત્ર ૨૧૮૦ જેટલા પ્રવાસીઓ જ આવ્યા હતા.તો સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતા આ સ્થળ પર લોકો એરિયલ વ્યૂ માણી શકે તે માટે અહીં હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરાઇ હતી. જે સેવાનો લાભ લેવા પ્રતિદિન ૩૦૦થી ૪૦૦ લોકો આવતા હતા. જે સંખ્યામાં પણ ઘટાડો થઇને હવે ૧૫૦ જેટલા પ્રવાસીઓ થઇ ગયા છે. હાલમાં અહીં હેલિકોપ્ટર પણ બદલાયુ છે. લોકોમાં ચર્ચા છે કે જે હેલિકોપ્ટર હતું તે ચૂંટણી પ્રચારમાં મોકલાયુ છે જેથી અન્ય હેલિકોપ્ટર રખાયુ છે. જો કે તંત્ર કહે છેકે હેલિકોપ્ટર સર્વિસમાં ગયું હોવાની અન્ય હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાઇ છે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તેવી આશા સેવાઇ રહી છે. ત્યારે હાલ તો અહીં ૪૨ ડીગ્રી જેટલી ગરમી પડી રહી છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી છે અને છેલ્લા ૫ દિવસમાં માત્ર ૧૪૩૭૫ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.