મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં પેરામેડીકલ અને મિકેનીઝમ ડીપાર્ટમેન્ટોમાં મેનપાવર પુરો પાડતી આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા તેના કર્મચારીઓને બે માસથી રૂપિયા ત્રણ કરોડ જેટલી પગારની રકમ ન ચુકવવામાં આવી હોવાનું કારણ ધરીને હડતાળ ઉપર જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.આ સાથે જ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા તેમના પાંચ માણસોને નિમણૂંક આપવા તેમજ તેના પગારનો ખર્ચ વગર બીલે મંજુર કરાવવા દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જો કે સુપ્રિટેન્ડન્ટ દ્વારા આ આક્ષેપોને રદીયોે આપવામાં આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલ ખાતે પેરામેડીકલ અને અન્ય વિભાગોમાં સ્ટાફના અભાવે જુદી જુદી એજન્સીઓ પાસે આઉટ સોર્સિંગની મદદથી સ્ટાફ લેવામાં આવ્યો છે.આ પ્રકારની કામગીરી નિરવ એન્ટરપ્રાઈઝીસ નામની કંપનીને પણ આપવામાં આવ્યો છે.આ કંપનીના હાલ ૧૬૫ કર્મચારીઓ વી.એસ.હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે.સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર,આ કંપનીના કર્મચારીઓના છેલ્લા બે માસથી પગાર કરવામાં આવ્યા નથી.જેને લઈને રૂપિયા ત્રણ કરોડ જેટલી રકમ પગાર પેટે ચુકવવાની બાકી નીકળે છે.એજન્સીના સંચાલકો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(હોસ્પિટલ)ને એક લેખિત પત્રમાં આ મામલે રજુઆત કરવામાં આવી છે.આ સાથે જ વી.એસ.હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર એસ.ટી.મલ્હાન સામે કેટલાક ગંભીર પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.જેમાં સુપ્રિટેન્ડન્ટ દ્વારા માર્ચ મહિનાથી આપવામાં આવતી રકમ ૫૦ ટકા કરી દેવાની સાથે જ તેમના ખાસ માણસોને નિમણૂંક આપીને તેમના પગાર પેટે ચુકવવા પાત્ર થતી રકમ વગર બીલે મંજુર કરાવવા દબાણ કરી જો આમ નહીં કરવામાં આવે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરી દેવાની પણ ધમકી આપી હોવાનું કહેવાયું છે.બીજી તરફ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા આ પ્રકારના આક્ષેપ વાહીયાત હોવાનું કહેતા કહેવામાં આવ્યુ છે કે અમે કામ વધુ માંગતા હોઈ આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે.કેટલાક અન્ય પ્રશ્નો છે જેનુ અમે તાકીદે નિરાકરણ લાવીશું એમ તેમનું કહેવું છે.શહેરના મેયર અને વી.એસ.હોસ્પિટલ બોર્ડના ચેરમેન ગૌતમ શાહે આ મામલે પ્રતિક્રીયા આપતા કહ્યું છે કે આ મામલે તેમને હજુ કોઈ માહિતી નથી.સુપ્રિટેન્ડન્ટ સામેના આક્ષેપો મામલે પણ તપાસ કરવામાં આવશે.
(અનુસંધાન નીચેના પાને)