ચારે બાજુથી ઘેરાયેલી, નિષ્ફળ અને ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા ગુમાવવાના ડરના લીધે ગાયમાતાના નામે રાજનિતી કરી રહી છે. કોંગ્રેસ પક્ષના કાર્યાલય પર મોડી રાત્રે હિંસક હુમલો કરી ભાજપ-બજરંગદળનો હિંસાત્મક ચહેરો ફરી એકવાર ખુલ્લો થયો, ત્યારે ભાજપ સરકારની ચૂંટણીલક્ષી ગૌ-ભક્તિ અંગે પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની અને રાજયની ભાજપની સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઈ છે ત્યારે ગાય માતાને નામે રાજનિતી કરીને સમાજને ગુમરાહ કરવા નીકળેલ છે. ગાયના મોઢાનું તણખલુ પણ ન ખપે તો પછી છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપની સરકારે હજારો હેક્ટર ગૌચરની જગ્યાઓ ભ્રષ્ટાચારીઓને કેમ આપી. ગૌચર ભાજપે ન રહેવા દીધુ તેથી ગાય પ્લાસ્ટિકની કોથળીઓ ખાવા મજબુર બને છે અને રીબાઈ રીબાઈને મરે છે. કેરળની ઘટના સામે આવતા જ કોંગ્રેસ મોવડી મંડળે કહેવાતા યુવક કોંગ્રેસના લોકોને પક્ષમાંથી હાંકી કાઢ્યા એટલું જ નહી જવાબદાર સામે કડકમાં કડક પગલાં લેવા માંગણી કરી છે. ભાજપ શાસનમાં ગેરકાયદે કતલખાના ધમધમી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ અને ભગીની સંસ્થાઓની ગૌભક્તિ ક્યાં છે. ભાજપના શાસનમાં લાખો કિલોગ્રામ ગૌમાંસની હેરાફેરી થઈ રહી છે. કોંગ્રેસના પ્રવક્તાનો આક્ષેપ છે કે ભાજપ શાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૦૦થી વધુ ગૌહત્યા સહિતના મામલા નોંધાઈ ચુક્યા છે.