લોકશાહીના ‘મહાપર્વ’ એવા લોકસભાની આગામી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતના મતદારોએ જેમના પસંદગીનો કળશ ઢોળ્યો હતો તે સાંસદોએ આખરે પાંચ વર્ષના ગાળા દરમિયાન સંસદમાં કેવો દેખાવ કર્યો હતો તેની કૂતૂહલતા થવી સ્વાભાવિક છે. જેના ઉપર નજર કરવામાં આવે તો જૂન ૨૦૧૪થી ફેબુ્રઆરી ૨૦૧૯ દરમિયાન ગુજરાતના સાંસદોએ સરેરાશ ૮૪% હાજરી આપી હતી અને તેમના દ્વારા સરેરાશ ૨૮૪ સવાલો પૂછવામાં આવ્યા હતા.૧૬મી લોકસભામાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.ગુજરાતના સાંસદોમાંથી ગાંધીનગરના સાંસદ ૯૧ વર્ષીય લાલકૃષ્ણ અડવાણી આ પાંચ વર્ષ દરમિયાન ‘સાયલન્ટ મોડ’માં જ રહ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીએ પાંચ વર્ષમાં સરેરાશ ૯૨% હાજરી આપી હતી. પરંતુ ભાજપના આ વરિષ્ઠ નેતાએ આ સમયગાળા દરમિયાન એકપણ સવાલ પૂછવાની ‘તસ્દી’ લીધી નહોતી.આ ઉપરાંત પાંચ વર્ષમાંથી અડવાણીએ એકમાત્ર વાર ઓગસ્ટ ૨૦૧૪માં ડિબેટમાં ભાગ લીધો હતો. આમ, સાત વખતના સાંસદ લાલકૃષ્ણ અડવાણી ૧૬મી લોકસભામાં કુલ ૩૬૫ શબ્દો ઉચ્ચાર્યા હતા. પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પાંચ વર્ષમાં માત્ર ૧૪% હાજરી આપી હતી અને જેમાં તેમણે ના તો કોઇ સવાલ પૂછ્યો હતો અને ના તો કોઇ ડિબેટમાં ભાગ લેવાની તસ્દી લીધી હતી. ૨૦૧૫ના બજેટ સત્રમાં તેમણે સૌથી વધુ ૪૦% હાજરી આપી હતી.
ભાજપના વલસાડના સાંસદ કેસી પટેલે આ સમયગાળામાં માત્ર ૧ ડિબેટમાં ભાગ લીધો હતો અને એકપણ સવાલ પૂછ્યો નહોતો.બીજી તરફ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ સૌથી વધુ ૫૪૬ પ્રશ્નો પૂછ્યા હતા. ભાજપનાં મહેસાણાનાં સાંસદ જયશ્રી પટેલે સૌથી વધુ ૯૮% હાજરી આપી હતી. ભારતના તમામ સાંસદોએ સરેરાશ ૮૪% હાજરી આપી હતી અને તેમના દ્વારા સરેરાશ ૨૮૪ સવાલ પૂછવામાં આવ્યા હતા.
પાછલી પોસ્ટ