શીલા દિક્ષિતે આપની સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરીને આ નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે, પહેલા અટકળો લાગી રહી હતી કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ૩-૩ બેઠકો પર ગઠબંધન કરી શકે છે ત્યાંજ એક બેઠક શત્રુધ્ન સિન્હા અથવા યશવંત સિન્હા માટે રાખવામાં આવશે. જો કે આ શીલા દિક્ષિતે તમામ અટકળો પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના બાલોકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇક બાદ બંન્ને દેશોની તણાવની સ્થિતિ વચ્ચે આપ અને કોંગ્રેસના ગઠબંધનની અટકળો લાગી રહી હતી.
કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે આજે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં પ્રિયંકા ગાંધી અને શીલા દીક્ષિત પણ હાજર રહ્યા હતા. શીલા દીક્ષિતે જણાવ્યું હતું કે, દિલ્હીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થશે નહીં. અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આ અંગે વાત કરી હતી અને તેઓ પણ સહમત હતા. સર્વસમ્મતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહે જ આપએ આખરે લોકસભાની કુલ ૭ પૈકી ૬ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટીએ નવી દિલ્હીથી બ્રિજેશ ગોયલને ઉમેદવાર જાહેર કર્યા હતા. પૂર્વ દિલ્હીથી આતિશી માર્લિના, ઉત્તર દિલ્હીથી દિલીપ પાંડેય, દક્ષિણ દિલ્હીથી રાઘવ ચઢ્ઢા, ચાંદની ચોકથી પંકજ ગુપ્તા અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ગુગન સિંહને ઉમેદવાર જાહેર કર્યા હતા.