અમેરિકા દ્વારા જીએસપી પ્રોગ્રામ અંતર્ગત ભારતને મળનારી છૂટછાટો બંધ થયા બાદ ભારતને નિશ્ચિતપણે આર્થિક ફટકો પડશે. કેમકે જીએસપી અંતર્ગત કેમિકલ્સ અને એન્જિનિયરીંગ જેવા સેક્ટરની અંદાજે ૧૯૦૦ ભારતીય પ્રોડક્ટસને અમેરિકન માર્કેટમાં ડ્યુટી ફ્રીનો લાભ મળતો હતો. અમેરિકા દ્વારા વિકાસશીલ દેશોના માલસામાનની આયાત પર જીએસપી અંતર્ગત વિશેષ છૂટછાટો અપાય છે. વર્ષ ૨૦૦૭માં તમામ વિકાસશીલ દેશો પૈકી ભારત એકમાત્ર એવો દેશ હતો કે જેને જીએસપી હેઠળ સૌથી વધુ લાભ મળ્યો હતો. અમેરિકાએ ભારતથી અંદાજે ૫.૬ બિલિયન ડોલર એટલે કે ૪૦ હજાર કરોડ રૂપિયાની આયાત કોઇ પણ પ્રકારના ટેક્સ વગર કરી હતી.વર્તમાન સમયમાં જીએસપી અંતર્ગત અમેરિકન બજારમાં કેમિકલ્સ અને એન્જિનિયરિંગ સેક્ટરની અંદાજે ૧૯૦૦ ભારતીય ચીજવસ્તુઓ પર કોઇ ડ્યુટી લેવામાં આવતી નથી. અમેરિકા દ્વારા જીએસપી અંતર્ગત મળનારી છૂટછાટ બંધ થવાથી ભારતને આર્થિક ફટકો ચોક્કસ પડશે. જો કે ભારતના વાણિજ્ય સચિવ અનૂપ વાધવાનનું માનવું છેકે અમેરિકાના નિર્ણયથી ભારતને કોઇ ખાસ નુકસાન નહીં થાય.વાધવાને કહ્યું કે જીએસપી હેઠળ કોઇ ખાસ ફાયદો ભારતને થતો નહોતો.
ભારત જીએસપી અંતર્ગત અંદાજે ૪૦ હજાર કરોડનો માલસામાન અમેરિકાને નિકાસ કરે છે. પરિણામે ભારતને વાર્ષિક ૧ હજાર ૩૪૫ કરોડ રૂપિયાનો ટેક્સનો ફાયદો થતો હતો.ભારતે વર્ષ ૨૦૧૭-૧૮માં અમેરિકાને ૪૮ અબજ ડોલર એટલે કે ૩ લાખ ૩૯ હજાર ૮૧૧ કરોડની કિંમતની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. જે પૈકી ફક્ત ૪૦ હજાર કરોડની નિકાસ જ જીએસપી પ્રોગ્રામ હેઠળ થઇ.
આ આંકડાઓ પરથી ખ્યાલ આવી શકે છે કે ભારતને બહુ વધુ નુકસાન નહીં થાય. મહત્વનું છે કે ભારત અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસ ધરાવતો ૧૧મો સૌથી મોટો દેશ છે. મતલબ કે ભારત અમેરિકાથી જેટલી આયાત કરે છે તેનાથી વધુ ત્યાં નિકાસ કરે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતનો અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસ ૨૧ અબજ ડોલર એટલે કે ૧ લાખ ૪૮ હજાર ૬૬૭ કરોડ રૂપિયા હતો.ખરેખર તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને વેપારમાં થતી ખોટને ઓછી કરવા આ પ્રકારના આક્રમક પગલાં લઇ રહ્યા છે. ચીન સાથે તો અમેરિકાએ ક્યારની ટ્રેડ વોર શરૂ કરી દીધી છે. બીજી તરફ ભારતે ઇ-કોમર્સ બિઝનેસમાં એફડીઆઇ પોલીસીમાં ફેરફાર કરતા અમેરિકાની અમેઝોન અને વોલમાર્ટ જેવી કંપનીઓને બહુ મોટો ફટકો પડ્યો છે. જેના કારણે ટ્રમ્પે ભારત સાથેની જીએસપી ડીલ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે.