Aapnu Gujarat
ગુજરાત

અન્નપૂર્ણાધામમાં આવનાર બધાને પ્રસાદમાં છોડ આપવા માટે સૂચન : અડાલજ અન્નપૂર્ણાધામ ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસનાં બીજા દિવસે આજે અડાલજથી કોબા રોડ આવેલા લેઉવાના પટેલ સમાજનાં આસ્થાનાં કેન્દ્ર અન્નપૂર્ણાધામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષાનાં તાલીમ કેન્દ્ર તેમજ રહેવા માટેનાં રૂમોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મારી સમાજને પ્રાર્થના છે કે અન્નપૂર્ણા ધામમાં જે કોઇ આવે તેને પ્રસાદમાં છોડ આપવામાં આવે. જેથી જિંદગીભર આ માતાનો પ્રસાદ તેના આંગણા કે ખેતરમાં જોવા મળે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, જેના ઘરમાં દીકરી પેદા થાય તે પોતાની દીકરીને દર્શન કરાવવા આ ધામમાં લાવે અને દીકરીને ઇમારતી લાકડાવાળા પાંચ છોડ આપે . દીકરી જ્યારે ૨૦ વર્ષની થાય ત્યારે તે ઇમારતી લાકડાનાં વૃક્ષને બજારમાં વેચી શકાય અને આ લાકડાનાં જે પણ પૈસા આવે તે દીકરીનાં લગ્ન માટે આપવામાં આવે જેથી મા-બાપે દેવું ના કરવું પડે. આજે હજારો કરોડનું ઇમારતી લાકડુ બહારથી લાવવું પડે છે. આપણી ધાર્મિક પરંપરાને આધુનિક રીતમાં જોડવા આ જગ્યા કામ કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે, સમાજ જીવનમાં જેણે સૌથી વધુ અન્નદાતાનું કામ કર્યું, ખેતર ખેડીને કણમાંથી મણ કરીને જેણે સમાજજીવનની ચિંતા કરી. કાઠિયાવાડમાં ખેડૂતનો મતલબ એટલે કે લેઉવા પટેલ. આ વિશેષતાનાં ભાગરૂપે આજે વિધિવત રીતે દેવી અન્નપૂર્ણા માતાનું તીર્થક્ષેત્રનું લોકાર્પણ થયું છે. ગુજરાતમાં દર વીસ-પચ્ચીસ કિલોમીટરના અંતરે ઓટલા અને રોટલાની વ્યવસ્થા હોય છે. આવુ હિન્દુસ્તાનને ખૂણેખૂણે છે. આ હજારો વર્ષોની પરંપરા છે. પીએમ મોદીએ આ દરમિયાન શિક્ષણ ભવન સાથે વિદ્યાર્થીઓની હોસ્ટેલનું પણ ખાતમુર્હુત કર્યું હતુ. સમારંભની શરૂઆતમાં પીએમ મોદીએ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના કરી હતી. પીએમ મોદીએ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના એક સમયના પીઢ નેતા કેશુભાઇ પટેલનાં ચરણસ્પર્શ પણ કર્યા હતા. તો અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ચેરમેન રવજીભાઇ સવાણી અને મીડિયા કો-ઓર્ડિનેટર હિતેશ પટેલ(પોચી) અને લેઉવા પટેલ સમાજનાં મોભીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતુ. પીએમ મોદીએ કહ્યું કે, દનિયાનાં લોકો માટે આપણા ધર્મ-સંસ્કૃતિ સમજવી મુશ્કેલ. આપણા દેશમાં વિવિધ ધર્મ, સંસ્કૃતિ અને વિવિધતાઓ છે. આપણા દેશમાં જેવા ભક્ત છે તેવા ભગવાન છે. તેમણે કહ્યું કે, રાજ્ય રાજ્યનું કામ કરે પરંતુ શક્તિ સમાજની હોવી જોઇએ. તેમણે અન્નપૂર્ણાધામ ઉભુ કરી સમાજશકિત દર્શાવવા બદલ લેઉવા પટેલ સમાજની આ ધાર્મિક પ્રવૃત્તિને પણ બિરદાવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર નજીક અડાલજ પાસે લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી મા અન્નપૂર્ણાના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આસ્થા અને આધ્યાત્મનો સમાજજીવનમાં કઇ રીતે ઉપયોગ કરી શકાય તેનો વિચાર કરવો જોઇએ. વર્ષોથી ભારતમાં ધર્મશાળાઓ, ગૌશાળાઓ, અડાલજની વાવ જેવા જળમંદિરોના નિર્માણ સામાજિક શક્તિથી થયા છે. ધીમે ધીમે રાજકીય શક્તિ એટલી બળવાન થઇ ગઇ કે, સમાજની શક્તિઓ દબાઇ ગઇ. જો સમાજ શક્તિશાળી હશે તો જ દેશ શક્તિશાળી બનશે, અમે સમાજની મૂળભૂત શક્તિને બળ આપવાનો પ્રયાસ કર્યો છે. શક્તિ તો સમાજની જ હોવી જોઇએ. વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લેઉવા પાટીદાર સમાજ અન્નપૂર્ણા ધામમાં જે કોઇ દર્શને આવે એમને પ્રસાદમાં એક છોડ આપે. ભાવિક-ભક્તો અન્નપૂર્ણા મા ના આ પ્રાસાદને જીવનભેર ઉછેરે. છોડ ઉછેરવાથી જીવનભર પૂણ્ય પ્રાપ્ત થતું રહેશે. અન્નપૂર્ણા માતાજીના આ પ્રસાદથી પર્યાવરણની રક્ષા થશે. પ્રસાદથી પૂણ્ય પ્રાપ્ત થશે, સેવાની સેવા થશે અને જીવનને એક નવી ઉંચાઇ મળશે. તેમણે અન્નપૂર્ણા ધામમાં પ્રસાદની પદ્ધતિ બદલવા આહવાન કર્યું હતું. આ પદ્ધતિથી સમાજને નવી દિશા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, લેઉવા પાટીદાર સમાજમાં જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તે પરિવારે પોતાની દિકરીને અચૂક અન્નપૂર્ણા મા ને પગે લગાડવા આવવું જોઇએ. સમાજના આગેવાનો આવેલી દિકરીના નામે ઇમારતી લાકડું મળે એવી જાતના પાંચ છોડ રોપે.
રાજ્ય સરકાર આવા વૃક્ષારોપણ માટે જગ્યા ફાળવે. ૨૦ વર્ષ પછી આ પાંચ છોડમાંથી ઇમારતી લાકડું પ્રાપ્ત થાય. સમાજ આ ઇમારતી લાકડું વેચીને તેમાંથી પ્રાપ્ત રકમ જે તે દીકરીના લગ્ન માટે ખર્ચ કરે. આ રીતે દીકરીના લગ્નનો ખર્ચ પણ નિકળી જશે અને સરકારી પડતર જમીન લીલીછમ થઇ જશે એટલું જ નહીં ઇમારતી લાકડું આપણે આયાત પણ નહીં કરવું પડે. લેઉવા પાટીદાર સમાજનો ઇતિહાસ ગૌરવવંતો છે, પ્રગતિમાં આ સમાજનું વિશેષ યોગદાન છે, એમ કહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમુલ ડેરીનો આરંભ કરાવનાર લેઉવા પટેલો હતા. આ સમાજે સરદાર વલ્લભભાઇ પટેલ જેવા સપૂતો આપ્યા છે. આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સામે આખી દૂનિયાએ માથું ઉંચુ કરીને જ જોવું પડે છે, એમ કહીને તેમણે અન્નપૂર્ણાધામના ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો કે ખેડૂતોને ખેતપેદાશોનું વધુ મૂલ્ય મળે અને ખેત પદ્ધતિમાં સુધારો થાય એ રીતે ફૂડ પ્રોસેસીંગ પ્રોજેકટનો પ્રારંભ કરવો જોઇએ. શેરથાના મરચાંનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવશે તો ખેડૂતો આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે. આપણી ધર્મ પરંપરા અને સંસ્કૃતિ સમજવી કોઇપણ માટે મુશ્કેલ છે, એમ કહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણે ત્યાં કોઇ એક ધર્મ, કોઇ એક પુસ્તક કે કોઇ એક પૂજા પદ્ધતિ નથી. અહીં ભક્ત એવા ભગવાન છે. ભક્ત પહેલવાન હોય તો ભગવાન હનુમાનદાદા છે. ભક્ત શિક્ષણ જગતમાંથી આવતો હોય તો સરસ્વતી દેવીની આરાધના કરે. વેપારી કે વ્યવસાયમાં હોય તો લક્ષ્મીજીની પૂજા કરે. એવી રીતે ખેતર ખેડી-ખેડીને જેણે કણમાંથી મણ બનાવ્યું છે અને સમાજની ચિંતા કરી છે એવા ખેડૂત સમાજ-લેઉવા પાટીદાર સમાજના અન્નપૂર્ણા મા છે. ભક્ત એવા ભગવાન એ આપણી વિશેષતા રહી છે. આજે આ તીર્થક્ષેત્ર-પ્રેરણાક્ષેત્રના લોકાર્પણ પ્રસંગે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હિન્દુસ્તાનની હજ્જારો વર્ષોથી પરંપરા રહી છે કે, જે પણ દિશાામાં જાઓ ૨૫-૩૦ કિલોમીટરે રોટલો અને ઓટલો મળી જ રહે. નર્મદા પરિક્રમાની સ્મૃતિ તાજી કરતાં તેમણે કહ્યું કે, નર્મદાની પરિક્રમા કરતા અજાણ્યા લોકોને પણ કિનારાઓના ગામોમાં ભૂખ્યાં નથી રહેવું પડતું. આ આપણા સમાજનો મૂળભાવ છે. અન્નપૂર્ણા ધામ પણ આવનારી પેઢી માટે શિક્ષણ અને સંસ્કારોનું ધામ બની રહેશે એવી અભ્યર્થના વ્યક્ત કરીને તેમણે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે એવા છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી સાથેના સંકુલનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિભાઇ અમીને વર્ષ-૨૦૨૦ના જૂન મહિનામાં નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી તરીકે આ સંકુલનું ઉદઘાટન કરે એવી અભિલાષા વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમને વિશ્વાસ છે તો મને પણ સવાયો વિશ્વાસ છે, અને ઘેર બોલાવો તો કોણ ના પાડે.

Related posts

સાબરમતી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત

aapnugujarat

રામોલની ગેંગરેપ પીડિતાનું સારવાર દરમ્યાન મોત થયું

aapnugujarat

સિવિલ નર્સિંગ વિદ્યાર્થીની દ્વારા બોયફ્રેન્ડ વિરૂદ્ધ દુષ્કર્મ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1