આસામમાં લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો રોકેટગતિથી વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને વધુ મોત સાથે ૧૪૫ ઉપર પહોંચી ગયો હતો. હજુ સુધી સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા ૨૦૦ નોંધવામાં આવી છે. જોરહાટ અને ગોલાઘાટ જિલ્લામાં સારવાર હેઠળ રહેલા લોકોની હાલત ગંભીર દર્શાવવામાં આવી છે. મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. ગોલાઘાટના ડેપ્યુટી કમીશનર ધીરેન હજારિકાએ કહ્યુ છે કે આ જિલ્લામાં ૮૭ લોકોના મોત થયા છે. જ્યારે જોરહાટના ડેપ્યુટી કમીશનરે કહ્યુ છે કે મોતનો આંકડો ૫૮ ઉપર પહોંચી ગયો છે. જોરહાટમાં ૧૬ની હાલત ગંભીર બનેલી છે. પોલીસે ગોલાઘાટમાં ૧૯ અને જોરહાટમાં આઠ લોકોની ધરપકડ કરી છે. ગોલાઘાટ અને જોરહાટ જિલ્લામાં આ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશ અગ્રવાલે માહિતી આપતા કહ્યું છે કે, મોતનો આંકડો ૧૪૫ ઉપર પહોંચ્યો છે. સેંકડો લોકો હજુ સારવાર હેઠળ છે. બીજી બાજુ આસામમાં ઝેરી શરાબના નિર્માણ અને વેચાણના સંદર્ભમાં ૨૭ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ ઝેરી શરાબને આસામી ભાષામાં સુલાઈમુડ કહેવામાં આવે છે. બીજી બાજુ આ શરાબના સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ૨૨મી ફેબ્રુઆરી બાદથી ૪૮૬૦ લીટર શરાબનો જથ્થો જબ્ત કરાયો છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અત્રે નોંધનીય છે કે, આસામના ગોલાઘાટ જિલ્લાના એક ચાના બગીચામાં ઝેરી શરાબ પીધા બાદ હજુ સુધી ૧૪૫ લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં અનેક મહિલાઓનો સમાવેશ થાય છે. હજુ પણ જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાની હોસ્પિટલમાં ૨૦૦થી વધારે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. ૪૦૦થી વધુ લોકોએ ગુરૂવારના દિવસે ચાના એક બગીચામાં શરાબનો ઉપયોગ કર્યો હતો. શરાબની એક દુકાનમાંથી આ ખરીદી કરવામાં આવી હતી. આ લોકો સાલીમીરા ચા બગીચામાં કામ કરી રહ્યા હતા. પોલીસે આ ઘટનાના સંબંધમાં ૨૭ લોકોની ધરપકડ કરી છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલે ઘટનાની તપાસના આદેશ કરી દીધા છે.