ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રિમિયર લીગની ૧૨મી સિઝનની ઓપનિંગ સેરેમનીને રદ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે આ સંદર્ભમાં થનાર ખર્ચ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટીકારોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું હતું કે, આ વખતે આઈપીએલમાં ઓપનિંગ સેરેમની યોજવામાં આવશે નહીં. આના માટે જે બજેટ રાખવામાં આવ્યું છે તે બજેટની રકમ પુલવામાના પરિવારોને મદદ માટે આપી દેવામાં આવશે. આજે સીઓએની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ભીષણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ ખેલ જગતમાં પણ દુખ અને આક્રોશનું મોજુ ફરી વળ્યું છે. પાકિસ્તાન સાથે તમામ પ્રકારના રમત સંબંધો તોડી દેવાની માંગણી દેશભરમાં ઉઠી રહી છે. આઈપીએલની વાત છે ત્યાં સુધી આની શરૂઆત ૨૩મી માર્ચના દિવસે થનાર છે. આઈપીએલની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ૨૩મી માર્ચના દિવસે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ સાથે ઇન્ડિયન પ્રિમિયર લીગની શરૂઆત થશે. આઈપીએલના આ સત્ર માટે બે સપ્તાહનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ગાળા દરમિયાન ૧૭ મેચો રમાશે. આ અવધિ દરમિયાન છ ટીમો ચાર ચાર મેચો રમશે જ્યારે બેંગ્લોર અને દિલ્હી પોતાની પાંચ લીગ મેચો રમશે. તમામ ટીમોની બે-બે મેચો સ્થાનિક મેદાને રમાશે. દિલ્હી ત્રણ મેચોનું આયોજન કરશે. આઈપીએલ સંચાલન પરિષદની બેઠક દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં સામાન્ય ચૂંટણી આવ અવધિમાં જ યોજાનાર છે જેથી પ્રથમ બે સપ્તાહ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ૨૩મી માર્ચના દિવસે પ્રથમ મેચ રમાશે.
પાછલી પોસ્ટ