અયોધ્યા વિવાદાસ્પદ મામલામાં સુપ્રીમ કોર્ટમાં ૨૬મી ફેબ્રુઆરીના દિવસે સુનાવણી થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજની બંધારણીય બેંચ આ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગયા બાદ સાધુ સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ યુયુ લલિતે મામલાની સુનાવણીથી પોતાને અલગ કરી લેતા નવી બેંચની રચના કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બંધારણીય બેંચ આ મામલામાં સુનાવણી કરશે. ૨૭મી જાન્યુઆરીના દિવસે સુપ્રીમ કોર્ટના એડિશનલ રજિસ્ટ્રાર લિસ્ટિંગ તરફથી જારી કરવામાં આવેલી નોટિસ મુજબ બંધારણીય બેંચમાં સામેલ જસ્ટિસ બોબડે ઉપસ્થિત નહીં હોવાના કારણે ૨૯મી જાન્યુઆરીએ સુનાવણી ટળી ગઈ હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ૧૪ અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે વિવાદાસ્પદ ૨.૭૭ એકરની જમીનને સુન્ની વક્ફ બોર્ડ, નિરમોહી અખાડા અને રામલલ્લા વિરાજમાનને એક સમાનરીતે વહેંચી દીધી હતી. સમગ્ર મામલામાં વારંવાર સુનાવણી ટળતી રહી છે. અયોધ્યા મામલાને બંધારણીય બેંચની પાસે મોકલવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધા બાદ સુનાવણીને લઇને તમામની નજર આના ઉપર કેન્દ્રિત થઇ ગઈ છે. મુસ્લિમ પાર્ટીઓ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ૧૯૮૪માં ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામનો કોઇ ભાગ નથી. આવી સ્થિતિમાં આ ચુકાદાને ફરી એકવાર ધ્યાનથી જોવાની જરૂર દેખાઈ રહી છે જેથી આ મામલાને પહેલા બંધારણીય બેંચને મોકલવાની રજૂઆત કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો. અયોધ્યા કેસમાં સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમની બેંચે મસ્જિદમાં નમાઝ અંગે ૧૯૯૪ના ચુકાદાને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે મસ્જિદ ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે કે કેમ તે સંદર્ભમાં ૧૯૯૪ના ચુકાદા ઉપર ફરીથી વિચારણા કરવા મોટી બેંચને આ મામલાને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. પાંચમી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે જ્યારે અયોધ્યા મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલો માત્ર જમીન વિવાદનો છે પરંતુ મુસ્લિમ પક્ષકાર તરફથી રજૂ થયેલા રાજીવ ધવને દલીલ કરી હતી કે, નમાઝ અદા કરવાનો અધિકાર છે અને તેને યોગ્યરીતે રાખવો જોઇએ. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા. તત્કાલિન ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભુષણે ૨-૧ની બહુમતિથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વેળા કેટલીક રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચને મોકલી દેવાની માંગ ફગાવી દેવામાં આવી હતી. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા.
આગળની પોસ્ટ