પાકિસ્તાન પ્રેરિત પુલવામા હુમલા મામલે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીએ સરકાર સામે સવાલો ઉભા કર્યા છે. બેનરજીએ આ ઘાતકી હુમલાને વખોડતા સવાલ કર્યો હતો કે, ચૂંટણીથી ઠીક પહેલા આ પ્રકારનો હુમલો કેમ થયો. આતંકી હુમલાની ચેતવણી હોવા છતા પણ જવાનોનો આટલો મોટો કાફલો એક સાથે કેમ મોકલવામાં આવ્યો. જવાનોને એરલિફ્ટ કેમ ન કરાયા? બેનરજીએ જણાવ્યું કે, સરકારે હુમલાવરો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઇએ, પરંતુ આ ઘટના પર બીજેપી-આરએસએસ હુલ્લડો કરવાના પ્રયત્નો કરશે તો દેશ તેમને માફ નહી કરે.
બીજી તરફ સમગ્ર દેશમાંથી પુલવામા હુમલા સામે બદલો લેવાની માંગ થઇ રહી છે. હાલમાં પુલવામા હુમલા પછી દેશમાં રાજકીય નિવેદનો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા સિદ્ધુએ પણ પુલવામા હુમલા મામલે નિવેદન આપ્યું હતું કે, આતંકવાદ માટે કોઇ પણ દેશ અને વ્યક્તિને જવાબદાર ન ઠેરવવા જોઇએ. માત્ર ચાર આતંકીના કારણે બંને દેશો વચ્ચે વધી રહેલ વિકાસ અને મિત્રતા પર કોઇ અસર ન પડવી જોઇએ. સિદ્ધુના આ નિવેદનથી દેશભરમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પોતાના નિવેદન પછી બખાળો ઉભો થતા સિદ્ધુ સફાઇ આપતા નિવેદન કરી રહ્યા છે, પરંતુ તેમણે પણ જવાનોની સુરક્ષામાં ચૂક મામલે સરકાર સામે સવાલો ઉભા કર્યા છે.