શહેરના જૂના વાડજ વિસ્તારમાં સામાન્ય બાબતે ગઇકાલે રાત્રે એક વૃદ્ધની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આરોપીઓએ વૃદ્ધને ડંડા વડે ફટકારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજતાં સમગ્રગ મામલો ગરમાયો હતો. વાડજ પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગ પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના જૂના વાડજ વિસ્તારમાં આવેલ તુલસીનગર સોસાયટી સામે રહેતા વિવેકાનંદ બડઘાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સંજય ચૌહાણ અને તેની પત્ની ભાવના ચૌહાણ, જીતુ ચૌહાણ અને અમિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે, પિતાજી નાથાભાઈ બડઘા તેમજ પરિવારના સભ્યો ગઈકાલે ઘરે હાજર હતા. ઘરપરિવારમાં માતાજીનું નૈવેેેદ્ય રાખ્યું હતું.
માતાજીના નૈવેદ્યનું કામ પૂરું થતાં નાથાભાઈ ઘરની બહાર બેઠા હતા ત્યારે ગઈકાલ રાત્રે તેમના ઘરની બહાર પતિ-પત્ની અને બે યુવક અંદરોઅંદર ગાળો બોલતાં હતાં અને ત્રણેય યુવકોના હાથમાં ડંડા હતા. તે સમયે નાથાભાઈએ ચારેયને ગાળો બોલવાની ના પાડી હતી. નાથાભાઈએ ઠપકો આપતાં પતિ-પત્ની અને બે યુવક ઉશ્કેરાયાં હતાં અને જાહેરમાં બીભત્સ ગાળો બોલીને મારામારી શરૂ કરી હતી. તેમણે નાથાભાઈ પર ડંડા અને ફેંટથી હુમલો કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. થોડી વાર પછી ચારેય ભેગા મળીને ઈંટો મારીને ભાગી ગયા હતા. નાથાભાઈએ બૂમાબૂમ કરતાં પરિવારના સભ્યો તેમજ લોકોનું ટોળું એકત્ર થયું હતું. જેને પગલે હુમલો કરનાર યુવકો અને મહિલા ત્યાંથી નાસી ગયાં હતાં. લોકોએ ઇજાગ્રસ્ત નાથાભાઈને હોસ્પિટલમાં ખસેડયા હતા. જો કે, તેમનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજતાં વિવાદ વકર્યો હતો. બીજીબાજુ, મૃતકના પુત્રએ વાડજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને લઇ પોલીસે સઘન તપાસ આરંભી છે.
આગળની પોસ્ટ