મહારાષ્ટ્ર સરકારે આ વર્ષના ‘શિવ છત્રપતિ સ્પોટ્ર્સ એવોડ્ર્સ’ની જાહેરાત કરી છે. સરકારે આ એવોર્ડ માટે મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની પસંદગી કરી છે. સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ-કેપ્ટન અને ડાબોડી ઓપનિંગ બેટ્સમેન છે.
વર્ષ ૨૦૧૭-૧૮ માટે ‘શિવ છત્રપતિ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ માટે મલ્લખમ્બ રમતના કોચ ઉદય દેશપાંડેની પસંદગી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ખેલકૂદ પ્રધાન વિનોદ તાવડેએ અહીં પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી. ખેલાડીઓની કેટેગરીમાં આ એવોર્ડ ભારતની મહિલા ક્રિકેટ ટીમની સભ્ય સ્મૃતિ મંધાનાને ફાળે ગયો છે. મુંબઈમાં જન્મેલી સ્મૃતિએ અત્યાર સુધીમાં ૪૭ વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં ૪ સદી અને ૧૪ અડધી સદી સાથે ૧,૭૯૮ રન કર્યા છે. ૫૫ ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચોમાં એણે ૮ અડધી સદી સાથે ૧,૨૨૬ રન કર્યા છે. એ બે ટેસ્ટ મેચમાં પણ રમી છે, જેમાં ૮૧ રન કર્યા છે.
આ એવોર્ડ આવતી ૧૭ ફેબ્રુઆરીએ ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે નિર્ધારિત સમારંભમાં એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ જીતનાર અન્ય ખેલાડીઓ છેઃ હોકી ખેલાડી સૂરજ કરકેરા, બેડમિન્ટન સ્ટાર સાનિલ શેટ્ટી, ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ સિદ્ધાંત થીંગાલિયા, રનર મોનિકા આઠારે અને સ્ક્વોશ ખેલાડી મહેશ માનગાંવકર.
માઉન્ટ એવરેસ્ટ સર કરી આવેલા સાતારા શહેરના પર્વતારોહક પ્રિયાંક મોહિતેને એડવેન્ચર માટેનો ‘શિવ છત્રપતિ એવોર્ડ’ આપવામાં આવશે. સરકાર દિવ્યાંગજન ખેલાડીઓને ‘એકલવ્ય રાજ્ય પુરસ્કાર’થી સમ્માનિત કરશે.
પાછલી પોસ્ટ