લોકસભા સાંસદ અનુરાગની અધ્યક્ષતામાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સંસદીય સમિતિ સમક્ષ ટિ્વટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેમજ કેટલાક વરિષ્ઠ અધિકારીઓને હાજર થવા જણાવાયું હતું. શનિવારે ભારત આવવાનો ઈન્કાર કર્યા બાદ ટિ્વટરના સીઈઓએ યુ-ટર્ન લીધો છે. હવે ટિ્વટર તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે સીઈઓ જેક ડોર્સી સંસદીય સમિતિને મળવા તૈયાર છે. બન્ને પક્ષે સહમતિ સાથે કોઈ એક તારીખે મુલાકાત નક્કી કરી શકાય છે. ટિ્વટરે યુ-ટર્ન લેતા જણાવ્યું કે ડોર્સી ચર્ચા માટે ઇન્કાર નથી કરી રહ્યા.
ટિ્વટર સીઈઓનો આ જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે સંસદીય સમિતિએ સીઈઓને ૧૦ દિવસનો સમય આપ્યો હતો. ફેક ન્યૂઝ, રાજકીય પસંદગી અને ગોપનિયતાના મુદ્દે ચર્ચા કરવા સંસદીય સમિતિએ ટિ્વટરના ટોચના અધિકારીઓને મળવા બોલાવ્યા હતા.
સમિતિએ બેઠકની તારીખ ૭ ફેબ્રુઆરીથી બદલીને ૧૧ ફેબ્રુઆરી કરી હતી.નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ ડાબેરી સંગઠન યુથ ફોર સોશિયલ મીડિયા ડેમોક્રસીના સભ્યઓએ ટિ્વટરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરતા આક્ષેપ કર્યો હતો કે ટિ્વટરે ડાબેરી વિરોધી વલણ અપનાવ્યું છે અ્ને તેમના ટિ્વટર એકાઉન્ટ બંધ કરી દીધા છે. જો કે ટિ્વટરે આ આક્ષેપોને ફગાવ્યા હતા. ટિ્વટરે જણાવ્યું કે, તે ક્યારેય એક વિચારધારાના આધારે ભેદભાવ નથી કરતું. યુથ ફોર સોશિયલ મીડિયા ડેમોક્રસીના કેટલાક લોકોએ આ મામલે સાંસદ અનુરાગ ઠાકુરને પત્ર પણ લખ્યો હતો. સાંસદ અનુરાગ ઠાકુરે પણ કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘અમે ટિ્વટરનો જવાબ ગંભીરતાથી લીધો છે. અમે સોમવારે આ મામલે ચર્ચા કરીશું અને આગળ કાર્યવાહી કરીશું.’ દરમિયાન ભાજપના પ્રવક્તા મીનાક્ષી લેખીએ આ સંદર્ભમાં એવી ચીમકી આપી હતી કે, ટ્વીટરને તેના આ પગલાં બદલ ભારતમાં પરિણામો ભોગવવાં પડશે.