અમદાવાદમાં વધતુ જતુ પ્રદૂષણ અમદાવાદીઓ માટે ચિંતાનું કારણ બન્યું છે. અમદાવાદનાં ઇતિહાસમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યુ છે. શહેરમાં પ્રદૂષણનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૦૯ નોંધાયો છે. એક તરફ દિલ્હીમાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ હવે તેની હરોળમાં આવી ગયું છે. વધતા પ્રદૂષણનાં કારણે લોકોને શ્વાસ અને દમની બીમારીઓ થઇ શકે છે. સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૪ આંકનો ભયજનક વધારો થયો. આવી ગંભીર સ્થિતિમાં એએમસી હેલ્થ એડવાઇઝરી જાહેર કરવાનુ ચૂકી ગઇ. અગાઉ એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૫૦ હતો ત્યારે હેલ્થ એડવાઇઝરી બહાર પાડી હતી.
આગામી બે દિવસ આવી સ્થિતિ રહેવાની શક્યતા છે. શહેરમાં વધી રહેલા વાહનો, તેમજ ગેરકાયદે ધમધમતી ફેક્ટરીઓનાં ધૂમાડાને લીધે પ્રદૂષણમાં સતત વધારો થયો છે. તો બીજી તરફ હવામાં પ્રદુષણ વધી રહ્યું છે તેથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ડેવલોપમેન્ટનાં નામે વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સામે વૃક્ષ ઊગાડવામાં આવતા નથી જેના કારણે પ્રદૂષણમાં રાહત મળતી નથી અને લોકોને નુકસાન ભોગવવું પડે છે.
એક બાજુ ડેવલોપ થતું અમદાવાદ કે જે પૂર્વમાં આવેલ ફેકટરીઓ જેમાં વટવા, નારોલ, ઓઢવમાં આવેલી ફેક્ટરીઓનું કેમિકલ હવામાં ફેલાય છે તેનાથી લોકોને શ્વાસની બીમારી થતી જોવા મળે છે, ત્યારે ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ દ્વારા આવી કેમિકલ ફેકટરીઓ સામે કડક કાયદા બનાવી કાર્યવાહી કરવાની હોય છે પરંતુ અધિકારીઓ પણ ખુદ કહી રહ્યા છે કે જેટલી માત્રામાં પ્રદૂષણ હોવું જોઈએ તેના કરતા વધારે જોવા મળે છે, ત્યારે હાલ તો અમદાવાદનાં લોકો ઝહેરી હવા ખાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આવનાર દિવસોમાં કેવા પગલાં લેશે તે જોવું રહ્યું.