સુરતના કતારગામ વિસ્તારમાં એવી ’અદ્રશ્ય’ વસ્તુ છે જેના ડરના ઓથાર હેઠળ એક પરિવાર જીવન જીવી રહ્યો છે. આ ’અદ્રશ્ય’ વસ્તુ તેમના પહેરવાના કપડાં અને ઘરમાં રહેલ રૂપિયાના ટુકડાં કરી નાખે છે. જોકે, પરિવારનું કોઈ પણ સભ્ય આવા કોઈ બનાવમાં માનતું નથી પરંતુ સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે તેઓ હવે આવું કંઈક હોવાનું માનવા પર મજબૂર બન્યા છે.સુરતના કતારગામ વિસ્તારના કુબેરનગર વિભાગ-૨માં આવેલા કુબેર એપાર્ટમેન્ટમાં મનસુખભાઈ ચાવડા રહે છે. તેઓ હીરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ૪ મહિનાથી તેમના ઘરમાં કોઈ અદ્રશ્ય વસ્તુ તેમના કપડાં ફાડી નાખે છે.આ ઘટનાક્રમ ઘરનો વીજ પુરવઠો બંધ થઈ જવો તેમજ સિલાઈ મશીનના પટ્ટા તૂટવાથી શરૂ થયો હતો. સિલાઇ મશીનમાં ૧૫ કરતા વધારે પટ્ટા નવા નાખવામાં આવ્યા છે. જે બાદમાં મશિનના વાયર કપાઈ જવાનો સિલસિલો શરૂ થયો હતો.જે બાદમાં મનસુખભાઈના દીકરાના કપડાં પણ ફાટવા લાગ્યા હતા. એટલું જ નહીં તેમના પત્નીની છ જોડી સાડીઓ પણ ફાડી નાખવામાં આવી હતી. તેમના ઘરમાં રહેલી ચલણી નોટોના પણ ટુકડા થઈ જાય છે. મનસુખભાઈ તેમજ તેમનો પરિવાર કોઈ અંધશ્રદ્ધામાં માનતો નથી પરંતુ સતત બની રહેલી આવી ઘટનાને પગલે તમણે ભૂવાઓનો સહારો લીધો છે.ઘટનાની જાણ થતાં આ વિસ્તારના આગેવાનો મનસુખભાઈના ઘરે પહોંચી ગયા હતા. આગેવાનોએ જાત અનુભવ માટે તેમના પૈસા મંદિરમાં મૂક્યા હતા.
મનસુખભાઈના મિત્ર બાબુભાઈ ચૌહાણે પોતાની નજરે આ ધટનાને જોઈ છે. બાબુભાઈના જણાવ્યા પ્રમાણે તેમના મિત્રના પરિવારના સભ્યો બહાર જાય એટલે ઘરમાં રહેલા કપડાં ફાટી જાય છે તેમજ રૂપિયાની નોટોનાં ટુકડા થઈ જાય છે.પરિવારે આવું ન થાય તે માટે હવે તેમના કપડાં અને ચલણી નોટો બીજાના ઘરે મૂકી આવે છે. બાબુભાઈના જણાવ્યા પ્રમાણે આ અંગેની જાણ ભૂવાને કરવામાં આવી હતી. ભૂવો આવ્યા બાદ એક બે દિવસ આ ઘટના બંધ થઈ ગઈ હતી, પરંતુ પછીથી ફરી આવું શરૂ થઈ ગયું હતું.મનસુખભાઈના દીકરાનો દીકરો ધાર્મિક તેના દાદા-દાદી સાથે રહીને અહીં અભ્યાસ કરે છે. ધાર્મિક જે કપડાં પહેરે છે તે પણ ફાટી જાય છે. જો તે ફીટ કપડાં પહેરે તો તેના શરીરે બ્લેડ મારી હોય તેવા ઈજાના નિશાન થઈ જાય છે. ધાર્મિકના ૨૦થી વધારે જોડી કપડાં ફાટી ગયા છે.છેલ્લા ચાર મહિનાથી પરિવાર આવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. મનસુખભાઈનો એક દીકરો અમરોલી વિસ્તારમાં રહે છે. તેના ઘરે પણ આવી કોઈ ઘટના ન બને તે માટે મનસુખભાઈ તેના દીકરાના ઘરે પણ જતા ડરે છે.મનસુખભાઈના પાડોશી હેતલબેને આ અંગે જણાવ્યું કે, ’મને થોડા દિવસ પહેલા ઘટનાની જાણકારી મળી હતી. મનસુખભાઈના ઘરે લોકો ભેગા થયા હતા ત્યારે હું ત્યાં ગઈ હતી. તેમના ઘરે ૧૩ જેટલા ભૂવાને પણ બોલવામાં આવ્યા હતા. બાળકોના કપડાં ફાટી જતા હોવાનું મેં મારી આંખે જોયેલું છે.હાલ આ પરિવારની સ્થિતિ અતિ દયનીય છે, તેમજ પરિવાર આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યો છે.
આગળની પોસ્ટ