મહેસાણા નજીક આવેલા રામપુરા કુકસમાં એક જ કોમના બે જૂથ વચ્ચે હથિયારોથી હુમલો કરવામાં આવતા બે યુવાનોના મોત નીપજયા હતા. આડાસબંધોના કારણે એક સમાજના બે જૂથના લાકો ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને એકબીજા પર કરેલા જોરદાર હિંસક હુમલામાં બે યુવાનોના મોતથી ભારે તંગદીલીભર્યો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે મહેસાણા પોલીસનો મોટો કાફલો ગામમાં ખડકી દેવાયો હતો અને ભારે લોખંડી બંદોબસ્ત સાથે પરિસ્થિતિ થાળે પાડવામાં આવી હતી. જો કે, હજુ ગામમાં વાતાવરણ તંગ જણાઇ રહ્યું છે. મહેસાણા નજીક રામપુરામાં સર્જાયેલી આ ઘટના અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે સોમાજી પુંજાજી ઠાકોરને એક મહિલા સાથે આડા સબંધ હોવાની ચર્ચા હતી. તેમાં આ મહિલાના ભત્રીજા સાથે સોમાજી ઠાકોરને આ બાબતે ઝગડો થયો હતો. આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અહીંના ઠાકોર સમાજના બંને તરફના જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જેમાં ઘાતક હથિયારો સાથે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉગ્ર બનેલા ઝગડામાં સોમાજી ઠાકોર અને અન્ય લોકોએ ગણેશજી નેનાજી ઠાકોર અને અર્જુનજી અગરજી ઠાકોર ઉપર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થતા આ બંને યુવાનોનું મોત નીપજ્યું હતું. જેના કારણે સમગ્ર ગામમાં ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જેમાં પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી મૃતક બંને યુવકોની લાશને પીએમ માટે મહેસાણા સિવિલ હોસ્પીટલમાં ખસેડી હતી. આ બનાવ અંગે પોલીસે ૭ લોકો સામે ગુનો દાખલ કરી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. જો કે, જૂથ અથડામણ અને બે યુવકોના મોતના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસ હાલ તો, રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ જારી રાખી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ