સામાન્ય રીતે વડીલના જન્મ દિવસની ઉજવણી કરવાનું લોકો ટાળતા હોય છે અથવા તો પરીવારની સાથે કે ધાર્મિક કાર્ય કરીને વડિલ ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ વિરમગામના આનંદ મંદિર સ્કુલના સ્થાપક મનુભાઇ પટેલના ૯૦માં જન્મ દિવસની ૧૧મી ઓક્ટોબરે અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. તેના જન્મદિવસ પ્રસંગે વિરમગામમાં લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવશે તથા ભયમુક્ત જીવનતથા યુવાશક્તિ જાગૃત કરવાના ઉદેશ્યથી સંજય રાલવના મોટીવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે.
વિરમગામના આનંદ મંદિર સ્કુલના સ્થાપક મનુભાઇ પટેલના ૯૦માં જન્મ દિવસની ૧૧મી ઓક્ટોબરે અનોખી રીતે ઉજવણી કરવા અંગે ગોકુલભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, જ્ઞાનને કોઇ સિમાડા નડતા નથી. તો જ્ઞાનના સાગર સમા પુસ્તકોને શા માટે નડે? જે ખરા અર્થમાં જ્ઞાન ઝંખે છે તે વિવિધ વિષયોના અનેક પુસ્તકોની વહેતી ભાગીરથી માંથી ગમે ત્યારે પોતાની જ્ઞાન પિપાસા સંતોષી શકે તે માટે આનંદ મંદિર સ્કુલના સ્થાપક મનુભાઇ પટેલના ૯૦માં જન્મ દિવસે વ્યાયામ શાળા, પરકોટા, વિરમગામ ખાતે પુસ્તક પરબ (લાઇબ્રેરી)નો પ્રારંભ કરવામાં આવશે. આ પુસ્તક પરબમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગી સંદર્ભ બુક, ધાર્મિક પુસ્તકો, મહાપુરૂષોના જીવન ચરિત્રો સહિત અનેક પુસ્તકોનો ભંડાર ઉપલબ્ધ હશે. આ ઉપરાંત ભયમુક્ત જીવન તથા યુવાશક્તિ જાગૃત કરવાના ઉદેશ્યથી આનંદ મંદિર દ્વારા ૧૧મી ઓક્ટેબરે બાગબાન પાર્ટી પ્લોટ વિરમગામ ખાતે રાત્રે ૮.૦૦ કલાકે સંજય રાવલના મોટીવેશન સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેના માટેના ફ્રિ પાસ આનંદ મંદિર સ્કુલ વિરમગામ ખાતેથી મળશે.
રિપોર્ટર :- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)