આરએએસએના ઈન્દ્રેશકુમારે એકવાર ફરી રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે. અલીગઢમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે સાધુ-સંતોએ રામ મંદિર કેસની સુનાવણી કરનાર જજના ઘર પર હલ્લાબોલ કરવું જોઈએ. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટના જજને લઈને ઈન્દ્રેશકુમાર ટિપ્પણી કરી ચૂક્યા છે.
અલીગઢની ડી.એસ. કોલેજમાં થયેલા ‘ભારતની એકતા અને અખંડિતતા સામે પડકારો’ કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ અને બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ, આમિરખાનને પણ નિશાન પણ લીધા હતા. ઈન્દ્રેશકુમારે અહીં નવજોતસિંહ સિદ્ધુની તુલના જયચંદ સાથે કરી. જ્યારે નસીરુદ્દીન શાહ અને આમિરખાનની તુલના મીર ઝફર સાથે કરી.
તેમણે કહ્યું કે આપણે દેશમાં કાસબ, યાકુબ અને ઈશરત જહાં જેવા મુસલમાન જોઈતા નથી. આપણે કલામના રસ્તે ચાલનાર મુસલમાન જોઈએ છે. રામ મંદિર મુદ્દે તેમણે કહ્યું કે આ કેસને ટાળવા માટે મુખ્ય જવાબદાર કોંગ્રેસ છે. ત્યાર બાદ લેફ્ટ., કટ્ટરપંથી તાકાત અને જજ પણ જવાબદાર છે.તેમણે કહ્યું કે સંતોએ કોંગ્રેસ, લેફ્ટ અને સુપ્રીમ કોર્ટના જજના ઘર પર ધરણાં કરવાં જોઈએ. સંઘના નેતાએ અપીલ કરી કે સરકાર આ મુદ્દા પર કાયદો બનાવવા માટે સંસદમાં ચર્ચા કરે અથવા અધ્યાદેશ લાવીને ખૂબ જ જલદી મંદિરનું નિર્માણ કરાવે.અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે માંગણી કરી રહેલા સાધુ-સંતો તરફથી પ્રયાગરાગમાં ચાલી રહેલા કુંભ ૨૦૧૯માં પરમ ધર્મ સંસદની શરૂઆત થઈ ચૂકી છે. આ ધર્મ સંસદ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. ધર્મ સંસદની વચ્ચે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે રામનો જ્યાં જન્મ થયો હતો ત્યાં અમને પૂજા કરવા દેવી જોઈએ. ત્યાં મુસલમાનો કે બીજું કોઈ પણ બેઠું નથી તે નરસિંહ રાવની સરકારના સમયથી સરકારી ભૂમિ છે.