શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ટીવી રિચાર્જ કરવા જેવી સામાન્ય બાબતને લઇ થયેલી પારિવારિક તકરારમાં એક પિતાએ ઉશ્કેરાટ અને આવેશમાં આવી ખુદ પોતાના પુત્રને જ લાકડીનો ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આશ્ચર્યની વાત એ છે કે, જુવાનજોધ પુત્રને ગુસ્સામાં મોતને ઘાટ ઉતાર્યા બાદ પસ્તાવગ્રસ્ત પિતા તેની પત્નીને લઇ અમરાઇવાડી પોલીસમથકે જાતે જ હાજર થઇ ગયા હતા. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જોગમાયાનગરમાં આવેલા ફ્લેટમાં રહેતા ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૬૪)ને તેમના પુત્ર અજય (ઉ.વ.૨૪) સાથે ગઇકાલે સાંજે ટીવીના રિચાર્જ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં અજયે ટીવી ઉંચકીને નીચે ફેંકી દેતા તેના પિતા ગોવિંદભાઈને ગુસ્સો આવ્યો હતો. ગોવિંદભાઈએ અજયને લાકડી વડે ઢોર માર માર્યો હતો. અજયને એ હદે માર માર્યો હતો કે તેનું મોત થઈ ગયું હતું. અજયને ખૂબ માર મારતા તેનું મોત થઈ જતાં માતા-પિતા ઉંડા આઘાતમાં ગરકાવ બન્યા હતા તો, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
આશ્ચર્યની વાત એ છે કે, સમગ્ર ઘટના બાદ પોતાનાથી પુત્રનું મોત થયું હોવાનું અહેસાસ થતાં ગોવિંદભાઈ તેમની પત્ની સાથે અમરાઈવાડી પોલીસ સ્ટેશન હાજર થઇ ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ