ઇસ્તાનબુલમાં સુપ્રસિદ્ધ પત્રકાર જમાલ ખશોગીની નિર્મમ હત્યા પછી અફઘાનિસ્તાનમાં પત્રકારો વિરુદ્ધ હિંસાના મામલા અંગે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. મીડિયા સાથે જોડાયેલ આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, અફઘાનિસ્તાનમાં ગત વર્ષ ૨૦૧૮ દરમિયાન પત્રકારો વિરુદ્ધ ૧૦૦ થી વધારે હિંસાના મામલા બન્યા હતા. જેમાં ૧૭ જેટલા પત્રકારોની હત્યાના મામલોઓનો પણ સમાવેશ થાય છે.
આ રિપોર્ટ અફઘાન જર્નાલિસ્ટ્સ સેફ્ટી કમિટી દ્વારા રાજધાની કાબુલમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એ વાતનો પણ ખુલાસો કરાયો હતો કે, વર્ષ ૨૦૧૭ની તુલનામાં વર્ષ ૨૦૧૮માં પત્રકારોની હત્યાના મામલા ઓછા થયા હતા. રિપોર્ટ મુજબ ૨૦૧૭માં ૨૦ પત્રકારોની હત્યા કરવામાં આવી હતી.
કમિટી દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટ મુજબ ગત વર્ષે હિંસાની ૧૨૧થી વધારે ઘટનાઓ બની હતી. જેમાં લગભગ ૪૧ ટકા ઘટનાઓ તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ દ્વારા અંજામ આપવામાં આવી હતી, ગત વર્ષે આતંકીઓ દ્વારા ૧૭ જેટલા પત્રકારોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઉપરોક્ત ઘટનાઓમાં ૨૧ ટકા ઘટનાઓ એવી હતી જેમાં ભોગ બનનારા લોકોમાં વધારે પડતા સરકારી અધિકારીઓનો સમાવેશ થયો હતો.
રિપોર્ટ મુજબ હિંસાના આ બનાવોમાં ભોગ બનનાર લોકોમાં ૧૧ ટકા મહિલાઓ પણ હતી. કમિટીએ રિપોર્ટની જાહેરાત સાથે પત્રકારોની સલામતી મામલે ચિંતા વ્યક્ત કરી હતી. કમિટીએ અફઘાન સરકાર પાસે પત્રકારોની વિશેષ સલામતી માટે જરુરી પગલા લેવાની માગ કરી હતી.