ભારતીય રેલવેએ એક નવી સફળતા પુરી કરી બતાવી છે. વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંથી એક ભારતીય રેલવે હવે માનવરહિત ક્રોસિંગ મુક્ત બની ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો, રેલવેની મુખ્ય લાઈનો એટલે કે ગેજ પર હવે એક પણ રેલવે ફાટક એવો નથી જે માનવરહિત હોય. વિતેલા એક વર્ષમાં રેલવેએ દેશભરમાં ૩૫૦૦ માનવરહિત રેલવે ક્રોસિંગ ખતમ કરી દીધા છે.રેલવે અનુસાર, માનવરહિત ક્રોસિંગને હટાવવા માટે મુખ્ય રૂપથી ચાર રીત અપનાવવામાં આવી. સૌથી પહેલા એવા ફાટક બંધ કરી દેવામાં આવ્યા જ્યાંથી વધારે ગાડીઓ પસાર થતી હતી. આ સિવાય કેટલીક જગ્યાઓ પર એક લેવલ ક્રોસિંગ બંધ કરીને રસ્તો બનાવી બીજા સાથે જોડી દીધો. કેટલીક જગ્યા પર સબવે, રોડ અથવા અંડર બ્રિજ બનાવવામાં આવ્યા અને માનવ રહિત ફાટક પર ગાર્ડ મુકવામાં આવ્યા.રેલવે અનુસાર, મુખ્ય લાઈન અથવા ગેજ પર હવે માત્ર એક માનવરહિત ક્રોસિંગ ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ ડિવિઝનમાં છે, જ્યાં સ્થાનિક તંત્ર સાથે આ ફાટક હટાવવા માટે સહમતિ નથી બની શકી, પરંતુ આશા છે કે, આ નાણાકીય વર્ષમાં આ કામ પુરૂ થઈ જવાની આશા છે.રેલવે મંત્રી પિયૂષ ગોયલે વર્ષ ૨૦૧૮-૧૯ના ડિસેમ્બર સુધીમાં રેલવેના તમામ માનવરહિત ફાટકને ખતમ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું જેથી એવા ક્રોસિંગ પર દુર્ઘટનાને રોકી શકાય. ૨૦૧૪માં રેલવેના બ્રોડ ગેજ પર લગભગ ૫૫૦૦ માનવ રહિત ક્રોસિંગ હતા. વર્ષ ૨૦૧૩-૧૪માં માનવ રહિત રેલવે ક્રોસિંગ પર ૧૧૮ દુર્ઘટના સર્જાઈ. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં આ ઘટીને ૨૦ થઈ. આ વર્ષે માત્ર ૩ દુર્ઘટના રેલવે ક્રોસિંગ પર થઈ. આ આંકડા સ્પષ્ટ કરે છે કે, રેલવેએ માનવરહિત ક્રોસિંગ પર થતી દુર્ઘટના રોકવા માટે સપળતા મેળવી લીધી છે.