૨૦૧૬-૧૭ની બેચના ગુજરાતના નંબર વન ગોલ્ડ મેડાલિસ્ટ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી દાઢીના ભાગે રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાની ચકચારભરી ઘટનામાં આખરે શહેર ક્રાઇમબ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. બીજીબાજુ, મૃતક પીએસઆઇની પત્ની આ સમગ્ર પ્રકરણમાં જેની પર ગંભીર આરોપ લાગ્યા છે તે ડીવાએસપી એન.પી.પટેલ સામે આજે કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં મૃતક પીએસઆઇની પત્નીએ ચોંકાવનારો ખુલ્સો કર્યો હતો કે, ડીવાયએસપી પટેલ તેમના પતિ દેવેન્દ્રસિંહ રાઠોડ પાસે અઘટિત(સજાતીય સંબંધ)ની માંગણી કરતા હતા. એટલું જ નહી, તેમની નોકરી છીનવી લેવાની વારંવાર ધમકી આપતાં હતા. તેમના ત્રાસથી કંટાળીને જ તેમના પતિએ આત્મહત્યા કરી લીધી છે. તેથી ડીવાયએસપી એન.પી.પટેલ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી આકરી કાર્યવાહી કરવામાં આવે. બીજીબાજુ, રાજયના ગૃહપ્રધાને આ સમગ્ર પ્રકરણમાં ન્યાયી તપાસની ખાતરી ઉચ્ચારી હતી અને જણાવ્યું હતું કે, આ કેસમાં તપાસમાં કોઇ કચાશ રાખવામાં નહી આવે. દરમ્યાન આજે મૃતક પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીના ગંભીર આરોપો બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. ખુદ રાજયના ડીજીપીએ કેસની ગંભીરતા ધ્યાને લઇ હવે સમગ્ર મામલાની તપાસ શહેર ક્રાઇમબ્રાંચને તપાસ સોંપવાનો આદેશ કર્યો છે અને તેનો વિસ્તૃત અહેવાલ પણ માંગ્યો છે. ગઇકાલે મૃતક પીએસઆઇના પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી તેમની લાશ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. પરિવારજનોએ પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરનાર ડીવાયએસપી એન.પી.પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આકરી કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી હતી અને જયાં સુધી કાર્યવાહી નહી થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ખુદ ડીસીપીએ પરિવારજનોને કરેલી સમજાવટના પ્રયાસો નિષ્ફળ રહેતાં સમગ્ર મામલો ગરમાયો હતો. ચાંદલોડિયામાં બે દિવસ પહેલાં પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે તેમના નિવાસસ્થાને સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કર્યા બાદ તેમની સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે, ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે અને તેથી એન.પી.પટેલને આજીવન કેદની સજા કરાવવા ભારપૂર્વકની માંગણી ચિઠ્ઠીમાં કરી હતી. દરમ્યાન ઓ મૃતક પીએસઆઇની પત્નીના ડીવાએસપી એન.પી.પટેલ વિરૂધ્ધ કરાયેલા ગંભીર આક્ષેપોને લઇ મામલો ગરમાયો હતો. પરિવારજનોએ આજે પણ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને ઉચ્ચ પોલીસ સત્તાધીશોએ મોડે સુધી પરિવારજનોને મૃતદેહ સ્વીકારી લેવાય તે માટે વિનમણાંના પ્રયાસો કર્યા હતા અને પોલીસ સત્તાવાળાઓએ મામલો થાળે પડી જવાની આશા સેવી હતી.