પાવાગઢના મહાકાળી મંદિરમાં માળખાકીય સુવિધાઓના કામમાં યાત્રાધામ વિકાસ બોર્ડના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયાનો રાજકોટના આરટીઆઇ એક્ટિવિસ્ટ કિશોરભાઈ નથવાણી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ માટે તેમણે સંયુક્ત સચિવ રહી ચૂકેલા અનિલ પટેલ સાથેની વાતચીતની વાઈરલ ઓડીયોક્લિપ પણ સાચી હોવાનું જણાવ્યું હતું. તેમજ સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી કરવાની તૈયારી પણ કિશોર નથવાણીએ દર્શાવી છે.
આ સમગ્ર કૌભાંડને લઇ નથવાણીએ જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પાવાગઢમાં રૂ.૧૧૦ કરોડની બાંધકામની કામગીરી ચાલે છે. જેમાં કાર્યપાલક ઇજનેર નિખિલ ભટ્ટ અને યાત્રાધામના ટ્રસ્ટી પરેશ પટેલ દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચી ૧૦૦ થી ૧૨૫ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. એટલું જ નહીં રાજ્યવ્યાપી બે થી અઢી હજાર કરોડનું આ કૌભાંડ હોવાનું મારૂ માનવું છે. ત્યારે આગામી દિવસોમાં નેતાઓ, અધિકારીઓ સહિત પદાધિકારીઓના નામ ખુલવાની સંભાવના છે. કરોડોના આ કૌભાંડ મામલે જો સરકાર તપાસ નહીં કરે તો ના છૂટકે મારે જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવી પડશે. એટલું જ નહી, પાવાગઢની સાથે દ્વારકા, મહેસાણાનું બહુચરાજી મંદિરન કામમાં પણ મોટા કૌભાંડ થયાનું ખુદ સંયુક્ત સચિવ રહી ચૂકેલા અનિલ પટેલે મારી સાથેની વાતચીતમાં કહ્યું છે. આ ઓડીયોક્લિપ એકદમ સાચી હોવાનો અને તેમણે નિખાલસતાથી પોતાની સાથે વાત કરી હોવાનો દાવો પણ કિશોર નથવાણીએ કર્યો છે. નથવાણીના આ દાવાને પગલે સરકારમાં ખાસ કરીને વિવિધ વિભાગોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
આગળની પોસ્ટ