વિપક્ષો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જોઈ રહ્યા છે, પરંતુ અખિલેશ યાદવ બાદ હવે પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ તેમના માર્ગમાં અવરોધક બની રહ્યા નજરે પડી રહ્યા છે.
મમતા બેનરજીએ કહ્યું કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બાદ તમામ પક્ષો મળીને વડા પ્રધાનપદના ઉમેદવાર પર ચર્ચા કરશે. હાલનો સમય એ નક્કી કરવા યોગ્ય નથી. યાદ રહે કે ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને વડા પ્રધાનપદના ઉમેદવાર માટે રાહુલ ગાંધીનું નામ મૂક્યું હતું. જેના પર મમતા બેનરજીએ આ ટિપ્પણી કરી છે. મમતા બેનરજીએ બુધવારે કહ્યું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બાદ જ તેના પર ચર્ચા થવી જોઈએ. ગઠબંધનને મજબૂત બનાવી એક રહીને ચૂંટણી જીતવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે એ બાદ તમામ પક્ષો ભેગા મળીને જે પણ નક્કી કરશે, તે અમને બધાને સ્વીકાર્ય હશે. વડા પ્રધાનપદના ઉમેદવાર હમણાં જાહેર કરવું એ કસમયનું છે અને તે વિપક્ષના મોરચામનેને વિભાજિત કરી શકે છે.
બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પક્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સિવાય એક થઈ રહ્યા છે, એ અંગેના હેવાલ ઉપર ટિપ્પણી માગતા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, એ સારું છે. એ સ્થાનિક મજબૂરી છે. અમે તેને પ્રોત્સાહિત કરીએ છીએ.શું તમે પણ વડા પ્રધાન પદના દાવેદાર છો કે કેમ એવું મમતા બેનરજીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, આ મુદ્દે ચર્ચા કરવાનો આ સમય નથી. હું એકલી નથી. અમે તમામ સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે મજબુતાઈથી એક છીએ.
આગળની પોસ્ટ