ભાજપ સરકાર પર નિશાન સાધતા આરએસએસએ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બની શકે છે, તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કાયદો કેમ ન બની શકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન (આરએસએસ)ના વરિષ્ઠ નેતા દત્તાત્રેય હોસબાલેએ અહીં એક જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે એક અલગ પીઠની રચના કરી છે, જે અયોધ્યાની જમીનના માલિકાના હક અંગે સુનાવણી કરી રહી છે, પરંતુ આ લંબિત મુદ્દા પર અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સંઘના સહ- સરકાર્યવાહ હોસબાલેએ પ્રશ્ન કર્યો કે, ’જો (ગુજરાતમાં) નર્મદા નદીના કિનારે સરદાર પટેલની પ્રતિમા બની શકે છે તો એક ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કોઇ કાયદો કેમ ન બની શકે. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ અને કેટલાક ક્ષેત્રીય ધાર્મિક સંગઠનો દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક સભાને સંબોધિત કરી, જેનું આયોજન રામ મંદિરનું શક્ય તેટલું ઝડપથી નિર્માણ કરવા કેન્દ્ર પર દબાણ બનાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું.