અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં મોટા ભાગનાં બગીચા અમૂલને સાર-સંભાળ માટે અપાયાં છે. તેનાં બદલામાં સત્તાવાળાઓએ લાખો કરોડો રૂપિયાની બગીચાની જમીનમાં અમૂલને પાર્લર ચલાવવાની છૂટ આપી છે. જો કે બાગ-બગીચાની સારસંભાળ તો થઇ શકતી નથી પરંતુ કેટલાંક કિસ્સામાં થર્ડ પાર્ટીને પાર્લર ઊંચા ભાવે ચલાવવા અપાયાં હોવાંની પણ ચર્ચા છે. આવા સંજોગોમાં સામાન્ય નાગરિકોને સ્વચ્છતાનાં નામે રોડ પર થૂંકવા સહિત કચરો ફેંકવા માટે રૂ.૧૦૦નો દંડ વસુલનાર સત્તાધીશો અમૂલનાં સંચાલકો પાસેથી એક રૂપિયાનો દંડ વસૂલી શકતા નથી. અમૂલ હસ્તકના બગીચાઓમાં મેઇન્ટેનન્સના ધાંધિયાને લઇ હવે શહેરના નાગરિકોમાં પણ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. કારણ કે, એકબાજુ, અમૂલ કરોડો રૂપિયાની મબલખ કમાણી કરે છે અને તે પણ અમ્યુકોનો ઉપયોગ કરીને. તો અમ્યુકો સત્તાવાળાઓ પણ શા માટે વાસુકી ગાયની જેમ કેમ બોલ્યા વિના દોહવાઇ જાય છે તે ગંભીર સવાલ હવે ચર્ચાઇ રહ્યો છે. છેક વર્ષ ર૦૦રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાનગીકરણની બોલબાલા વધવાથી શહેરનાં ૪ર બગીચાની સારસંભાળ અમૂલને અપાઇ હતી. ત્યારથી અમૂલ દ્વારા બગીચામાં પાર્લર ઊભા કરાઇ રહ્યાં છે. ત્યારબાદ જેમ જેમ નવા બગીચા બનતા ગયાં તેમ તેમ તેનો સારસંભાળનો હવાલો અમૂલને સોંપાતો ગયો. ૪ર બગીચાનાં ૧ર૩ બગીચા, પછી ર૧ર બગીચા અને હવે રર૯ બગીચાનો હવાલો અમૂલ હસ્તક છે, બગીચાની સંખ્યા વધતી ગઇ. જો કે અમૂલ હસ્તકનાં બગીચામાં મેન્ટેનન્સનાં ધાંધિયા યથાવત રહેવા પામ્યાં છે. છેક મેમાં અમૂલ હસ્તક બગીચામાં સિક્યોરીટી, રમતગમતનાં સાધનો, લોન સહિતનાં ગાર્ડનીંગનાં ધાંધિયા, લાઇટીંગ-વોટરીંગનાં પ્રશ્નો વગેરેનો મામલો ઉઠ્યો હતો. તત્કાલીન ચેરમેન પ્રવિણ પટેલને પણ અમૂલ હસ્તક બગીચાઓમાં મેન્ટેનન્સનાં ધાંધિયા હોવાનો એકરાર મિડિયા સમક્ષ કરવો પડ્યો હતો. તે વખતે તત્કાલિન કમિશનર મુકેશકુમારે સમગ્ર બાબતને ગંભીરતાથી લઇને દર મહિને બગીચાનાં મેન્ટેનન્સનો રિપોર્ટ રજુ કરવાનો આદેશ તંત્રને આપ્યો હતો. ગત ઓક્ટોબર ર૦૧૭થી સત્તાવાળાઓએ કુલ રર૯ બગીચાની સારસંભાળનો કોન્ટ્રાક્ટ અમૂલને આપ્યો છે. રર૯ બગીચા પૈકીનાં અનેક બગીચા ટોઇલેટની ગંદકી, નબળી સિક્યોરીટી, ઉબડખાબડ વોકવે, બાળકોના રમતગમતના સાધનોની દયનીય દશાનાં કારણે જે ખરાબ હાલતમાં હોઇ હાલનાં કમિશ્નર વિજય નહેરા ખફા થયાં છે.
કમિશ્નર વિજય નહેરાએ અમૂલ હસ્તકનાં બગીચામાં સાત દિવસમાં મેન્ટેનન્સને લગતા ધાંધિયા દૂર થાય તેવી તત્કાળ નોટીસ ફટકારવાનો બાગ-બગીચા વિભાગને આદેશ આપતા તંત્રમાં દોડધામ મચી છે. તંત્રની નોટીસને પગલે વસ્ત્રાપુર લેકનો ખરાબ હાલતમાં મુકાયેલાં વોક-વે વ્યવસ્થિત કરાયો હોવાનો દાવો કરતા બાગ-બગીચા વિભાગનાં ડાયરેકટર જિજ્ઞેશ પટેલે જણાવ્યું કે, અન્ય બગીચાની સ્થિતિમાં પણ સુધારો થઇ રહ્યો છે. જો કે અમૂલનાં સંચાલકો પાસેથી ટેન્ડર શરતનો ભંગ કરવા બદલ એક રૂપિયાનો દંડ પણ વસુલી શકાતો નથી કેમ કે આને લગતો કોઇ ઉલ્લેખ અમૂલનાં સંચાલકો સાથેનાં કોન્ટ્રાક્ટમાં નથી., તેવો તેમણે સ્વીકાર કર્યો હતો.
પાછલી પોસ્ટ