૨૦૦૫માં ગુજરાત રાજસ્થાન પોલીસ દ્વારા ઠાર મારવામાં આવેલા રાજસ્થાનના ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખની હત્યાનો કેસ હાલમાં મુંબઈ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે સીબીઆઈના સાક્ષી તરીકે જુબાની આપવા આવેલા પેટ્રોલ પંપના માલિક મહેન્દ્રસિંહ ઝાલાએ કોર્ટને જણાવ્યુ હતું કે પોલીસ દ્વારા જેની હત્યા થઈ તે સોહરાબુદ્દીન શેખ ગુજરાતના આઈપીએસ અધિકારી અભય ચુડાસમા માટે કામ કરતો હતો.
જો કે મહેન્દ્રસિંહ ઝાલાએ અભય ચુડાસમાના નામનો ઉલ્લેખ કરતા કોર્ટ દ્વારા ઝાલાને અટકાવી કહેવામાં આવ્યુ કે તેઓ અભય ચુડાસમાના નામનો ઉલ્લેખ કરી શકે નહીં કારણ અગાઉ કોર્ટ અભય ચુડાસમાને આ કેસમાં ડીસચાર્જ કરી ચુકી છે.અમદાવાદના પેટ્રોલપંપ માલિક મહેન્દ્રસિંહ ઝાલા સાક્ષી તરીકે જુબાની આપવા માટે મુંબઈ કોર્ટ સામે હાજર રહ્યા હતા. તેમણે કોર્ટમાં સીબીઆઈના વકીલ પાસે તેમણે સીઆરપીસી ૧૬૪ અનુસાર લખાવેલા સાક્ષી નિવેદનની માગણી કરી હતી અને કહ્યુ કે તેમણે વર્ષો પહેલા નિવેદન આપ્યુ હોવાને કારણે તેઓ પોતાનું સાક્ષી નિવેદન જોવા માગે છે,.પરંતુ સીબીઆઈના વકીલ દ્વારા નિવેદન બતાડવાની ના પાડી દેવામાં આવી હતી.
સરકારી વકીલ દ્વારા મહેન્દ્રસિંહને તેમના ૧૬૪ના નિવેદન અંગે કંઈ જ પુછ્યું નહીં. જો કે આ નિવેદનમાં મહેન્દ્રસિંહ ઝાલાએ સોહરાબુદ્દીન અને અભય ચુડાસમા સહિત ડી. જી. વણઝારાનો પણ ઉલ્લેખ કર્યો હતો.મહેન્દ્રસિંહ ઝાલાએ આઈપીએસ અધિકારી અભય ચુડાસમાના નામનો ઉલ્લેખ કરતા જજ દ્વારા ઝાલાને અટકાવી દઈ ચુડાસમાનો ઉલ્લેખ નહીં કરવા આદેશ આપ્યો હતો. મહેન્દ્રસિંહ ઝાલાએ કુલ ચાર વખત સીબીઆઈ સામે ત્યાર બાદ કોર્ટ સામે ૧૬૪ મુજબનું નિવેદન આપ્યુ હોવા છતાં તે ચાર્જશીટનો ભાગ રહ્યુ નથી. આ અંગે પત્રકારો સામે આશ્ચર્ય વ્યક્ત કરતા મહેન્દ્રસિંહ ઝાલાએ કહ્યુ હતું કે ટ્રાયલ કોર્ટ દ્વારા પુરાવા અને સાક્ષી નિવેદનો જોયા વગર અભય ચુડાસમા અને વણઝારાને ડીસચાર્જ કર્યા હતા. આ અંગે તેઓ મુંબઈ કોર્ટમાં જશે, ટ્રાયલ ચાલે અને તેઓ નિદોર્ષ છુટે તો વાત સમજાય પણ ટ્રાયલ પહેલા પુરાવાઓ ધ્યાનમાં લીધા વગર તેઓ કેવી રીતે છુટી ગયા તે મુદ્દે તેઓ હાઈકોર્ટ જશે.મહેન્દ્રસિંહે પત્રકારોને કહ્યુ હતું સોહરાબુદ્દીન પોલીસ અધિકારી ચુડાસમા માટે જ કામ કરતો હતો અને ચુડાસમાના કહેવાથી તેણે રમણ-દશરથ પટેલની ઓફિસ ઉપર ગોળીબાર કર્યો હતો, ગુજરાત એટીએસ દ્વારા તેમને પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ૧૫ લાખ પડાવ્યા હતા.અત્રે ઉલ્લેખનિય છે કે સીઆઈડી ક્રાઈમના નિવૃત્ત પોલીસ ઈન્સપેકટર વી એલ સોંલકી પણ જયારે જુબાની આપવા આવ્યા અને તેમણે તુલસી પ્રજાપતિની હત્યાનો ઉલ્લેખ કરતા કોર્ટે તેમને અટકાવી દીધા હતા.
આગળની પોસ્ટ