ગ્લોબલ હંગર ઈન્ડેક્સ પ્રમાણે ભૂખમરો દૂર કરવામાં પુરોગામી મનમોહનસિંહની સરકાર કરતા હાલની મોદી સરકાર પાછળ છે. વિકાસ અને ગરીબી દૂર થવાના સરકારી દાવાઓ વચ્ચે ૨૦૧૮ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ વધુ ગગડયું છે. ૧૧૯ દેશોની ગ્લોબલ હંગર ઈન્ડેક્સની યાદીમાં ભારત ૧૦૩મા સ્થાને પહોંચ્યું છે.૨૦૧૭માં ભારત ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ૧૦૦મા ક્રમાંકે હતું. જો કે અહીં સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ છે કે ૨૦૧૪માં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારના સત્તામાં આવ્યા બાદ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે.
૨૦૧૪માં ભારત જીએચઆઈમાં ૫૫મું, ૨૦૧૫માં ૮૦મું, ૨૦૧૬માં ૯૭મું અને ૨૦૧૭માં ૧૦૦મા સ્થાને રહ્યું હતું. ૨૦૧૮માં ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં વધુ ત્રણ ક્રમાંકના ઘટાડા સાથે ભારત ૧૦૩મા સ્થાને પહોંચ્યું હતું. જીએચઆઈનો પ્રારંભ ૨૦૦૬માં ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે કરી હતી. વેલ્ટ હંગર લાઈફ નામની એક જર્મન સંસ્થાએ ૨૦૦૬માં પહેલીવાર ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જાહેર કર્યો હતો. ૨૦૧૮માં આનું ૧૩મું સંસ્કરણ જાહેર કરવામાં આવ્યું છે.