શહેરી બાબતો અને આવાસ મંત્રાલય દ્વારા પુરા પાડવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારની ફ્લેગશીપ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ મંજુર કરવામાં આવેલા ૫૪.૯૪ લાખ મકાનો પૈકી ૧૫ ટકા મકાનો પૂર્ણ થઇ ચુક્યા છે. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૫થી લઇને ૨૦૨૨ સુધીના ગાળામાં એટલે કે સાત વર્ષમાં દેશભરમાં શહેરી વિસ્તારોમાં એક કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવનાર છે. આ હેતુને પૂર્ણ કરવા માટે ખુબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી ખુબ ઓછા ટાર્ગેટને પાર પાડવામાં આવ્યા બાદ તેની ગંભીરતાને લઇને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ગયા મહિનામાં જ મંત્રાલય દ્વારા ૧.૧૨ લાખથી વધુ પોષાય તેવા મકાનો શહેરી ગરીબો માટે બનાવવા માટેની દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી હતી. આની સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફંડથી બની રહેલા આવાસોની કુલ સંખ્યા વધીને ૫૪૯૫૪૪૩ થઇ ગઇ હતી. મંત્રાલયના આંકડા મુજબ આ યોજના શરૂ કરવામાં આવ્યા બાદથી આ વર્ષે ૩૧મી ઓગસ્ટ સુધીમાં ૮.૫૫ લાખ મકાનો પૂર્ણ થઇ ચુક્યા છે. દેશભરમાં ૩૦.૪ લાખ મકાનોમાં કામ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, આ યોજના પણ આક્ષેપબાજી અને મઝાક તરીકે સાબિત થઇ રહી છે. હજુ સુધી ખુબ ઓછા ટાર્ગેટને હાસલ કરવામાં સફળતા મળી છે. ભાજપ દ્વારા ખોટા વચનો આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા આરપીએન સિંહે કહ્યું છે કે, કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં ૧૫ ટકા આવાસનું કામ પૂર્ણ થયું છે જે ખુબ ઓછી ગતિને દર્શાવે છે. બીજી બાજુ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, નિર્માણ કામ ચાલી રહ્યું છે. ઝડપથી કામ પૂર્ણ થયા તેની ખાતરી કરવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની શક્યતા ચકાસવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ૮.૫૫ લાખ મકાનો પૈકીના ૫.૬૮ લાખ મકાનો પરિપૂર્ણ થઇ ચુક્યા છે. જૂન ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના લોંચ કરવામાં આવી હતી. આનો મુખ્ય હેતુ ૨૦૨૨ સુધી તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાનો રહેલો છે. મંત્રાલય પ્રવક્તા રાજીવ જૈને કહ્યું છે કે, નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. વધુ નવી ટેકનોલોજી પણ ચકાસવામાં આવી રહી છે. મકાનોનું નિર્માણ વધુ ઝડપથી થાય તેવા પ્રયાસ થઇ રહ્યા છે. ડેટા મુજબ દેશભરમાં ૪૩૨૦ શહેરો અને અન્ય વિસ્તારોમાં આ યોજના હેઠળ મકાન બની રહ્યા છે. આ વર્ષે જુલાઈ સુધી ૧૧૨૨૬ પ્રોજેક્ટોને મંજુરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સબસિડી આપવામાં આવે છે. મધ્યમ આવકવાળા લોકો અને ગરીબ વર્ગના લોકોને રાહત આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ મૂડીરોકાણનો આંકડો ૨૯૬૯૧૬ કરોડનો રહ્યો છે. કેન્દ્રીય સહાયતાનો આંકડો ૧.૫ લાખ રૂપિયાનો રહેલો છે જે વ્યક્તિગતોને ડીએલસી હેઠળ આપવામાં આવે છે.
આગળની પોસ્ટ