Aapnu Gujarat
બ્લોગ

બેંકોની સ્થિતિ સુધારવા મોદી સરકારે કડક પગલા ભરવા રહ્યાં….

સમગ્ર દેશમાં અત્યારે એક સે બઢકર એક..કૌભાંડો ખુલતા જાય છે…જેમાં પંજાબ નેશનલ બેંકના ૧૧૪૦૦ કરોડના કૌભાંડ બાદ એક પછી એક બહાર આવેલા કૌભાંડોમાં બેંકિંગ ક્ષેત્રે ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોએ બેંકો સહીત સરકાર સામે ગ્રાહકો અને પ્રજામાં આઘાત સાથે અવિશ્વાસ પેદા કર્યો છે. કારણ કે,સરકારી બેંકેએ છેલ્લા એક જ વર્ષમાં જ ૮૧,૬૮૩ કરોડની લોન માંડવાળ કરી છે.જેમાં ૧૭ વર્ષમાં પહેલીવાર એસબીઆઈએ ૨૦૧૬-૧૭ ના વર્ષમાં ૨૦૩૩૯ કરોડની લોન માંડવાળ કરી બેંક,પ્રજા અને સરકારને અધધધ નુકશાન કર્યું છે.મોદી રાજના છેલ્લા ચાર વર્ષમાં જ સરકારી બેંકોએ કુલ રૂપિયા ૨,૨૨,૬૯૫ કરોડની લોન માંડવાળ કરી દેતા તમામ બેંકોમાં એનપીએની હાલત કથળતા વિકટ સમસ્યા સર્જાઈ છે.
ભારતમાં માત્ર એક જ વર્ષમાં સરકારી બેંકોની ૮૧ હજાર કરોડથી વધારે લોન રાઈટ ઓફ થઇ ચુકી છે. જયારે કોઈ બેંક લોન વસુલ કરી શકતી નથી ત્યારે તે લોન રાઈટ ઓફ કરે છે. એટલે કે,લોન માંડી વાળીને બેંકના ચોપડે દર્શાવતી નથી.પીએનબીના કૌભાંડ સાથે બહાર આવેલી બેંકોની એનપીએની કથળેલી હાલતમાં બેંકોની નોન પરફોર્મિંગ, રીસ્ટ્રકચર્ડ અથવા રોલ્ડ ઓવર લોનનો સમાવેશ થાય છે.આવી લોનો ગયા વર્ષના મધ્યમાં જ ૧૪૮ અબજ ડોલરની ઉંચી સપાટીએ પહોચી ગઈ હતી.
બેંકો ધ્વારા આર્થિક મંદી અને નફાકારક ધિરાણની લ્હાયમાં છેલ્લા ચાર વર્ષમાં બેડ લોન્સની સંખ્યા લગભગ બમણી થઇ ગઈ છે.જેમાં ૧૭ વર્ષમાં પહેલીવાર એસબીઆઈએ ૨૦૧૬-૧૭ ના વર્ષમાં ૨૦૩૩૯ કરોડની લોન માંડવાળ કરી ઘણું મોટું નુકશાન કર્યું છે.જયારે પીએનબી એ ૯૨૦૫ કરોડ,બીઓઆઈ એ ૭૩૪૬ કરોડ,કેનેર બેંકે ૫૫૪૫ કરોડ અને બીઓબી એ ૪૩૪૮ કરોડની લોન માંડવાળ કરી છે.જયારે સમગ્ર દેશમાં લગભગ તમામ સરકારી બેંકો ધ્વારા ૨૦૧૨-૧૩માં ૨૭૨૩૧ કરોડ,૨૦૧૩-૧૪માં ૩૪૪૦૯ કરોડ, ૨૦૧૪-૧૫માં ૪૯૦૧૮ કરોડ, ૨૦૧૫-૧૬માં ૫૭૫૮૫ કરોડ અને ૨૦૧૬-૧૭માં ૮૧૬૮૩ કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે.
આમ મોદી રાજના છેલ્લા ચાર વર્ષમાં જ રૂપિયા ૨,૨૨,૬૯૫ કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે.સરકારી બેંકોમાં સરેરાશ ૨૧માંથી ૯ બેંકો ૧૫ ટકાથી વધુ એનપીએ વધી છે.જયારે સરેરાશ ૧૨ ટકા એનપીએની સપાટી ૧૨ બેંકો પાર કરી ગઈ છે.૨૦૧૭ના વર્ષ સુધીમાં ૮.૪ કરોડ લીસ્ટેડ બેંકોની એનપીએ છે.પરિણામે કેન્દ્ર સરકાર ધ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા સરકારી બેંકોમાં જમા કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નુકશાનથી સરકારની બેંકો માટેની રીકેપીટલાઈઝેશન યોજના ઉપર અસર પડશે.
બીજીતરફ ભારતમાં સરકારી બેંકોની ૭,૩૩,૮૭૪ કરોડની એનપીએ સામે ખાનગી બેંકોની એનપીએ ૧,૦૨,૮૦૮ કરોડ જેટલી છે.છેલ્લે વિડીયોકોન અને મધ્ય પ્રદેશમાં પણ ૬૬૨૬ કરોડનું પાવર કૌભાંડ બહાર આવેલું છે.તેમાં રાફેલ સોદાનું તો હજુ કોઈ નામ લેતું નથી.ત્યારે બેન્કોએ આ દેવા,લોન કે કૌભાંડો સામે વધુ કડક પગલા અને નાણાકીય જોગવાઈ પણ કરવી પડશે.નાણાકીય સંકટમાં ઘેરાયેલી ૭૦ જેટલી કંપનીઓને લોન (એનપીએ)ની સમસ્યાના ઉકેલ માટેની ડેડલાઈન સમાપ્ત થઈ ગઈ છે.
આ ૭૦ કંપનીઓએ બેંકો પાસેથી લીધેલ લોન પેટે અધધધપ રૂપિયા ૩.૬૦ લાખ કરોડ ચૂકવ્યાં નથી. બેંકોને આશા હતી કે ૨૭ ઓગસ્ટ પહેલાં કંપનીઓ અંશતઃ લોનની ચૂકવણી કરશે, પણ આ આશા ઠગારી નીવડી છે. એનપીએના ભરડાએ બેંકોને આર્થિક મુશ્કેલીમાં મુકી દીધી છે. હવે નવા કાયદા મુજબ ૭૦ કંપનીઓનો કેસ એનસીએલટી (નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ)માં જશે, અને એનસીએલટીમાં બેંકરપ્સી રેઝોલ્યુશન તરીકે ટ્રીટ કરવામાં આવશે. શું એનપીએની સમસ્યાના ઉકેલ માટે આ જ એક રસ્તો છે?, તેવો સવાલ અત્રે થઈ રહ્યો છે.
બેંકરપ્સીથી બેંકોને લોનની વસૂલાત મળી જશે ખરી? આરબીઆઈ દ્વારા બેંકોની એનપીએની તપાસ કરવી જોઈએ, અને કસૂરવારો સામે આકરા પગલા લેવાવા જોઈએ.રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફેબ્રુઆરીમાં બેંકરપ્સી સાથે સંકળાયેલા નવા નિયમ લાગુ કર્યા હતાં, તેમાં બેંકોને લોન રીકાસ્ટ કરવા માટે ૧૮૦ દિવસની સમય મર્યાદા આપવામાં આવી હતી. જો કે નવા નિયમ લાગુ કર્યાં તે પહેલાં આવી કોઈ મર્યાદા નહોતી. હવે સોમવારે જ લોન ચૂકવવામાં નિષ્ફળ કંપનીઓને આપવામાં આવેલો સમય સમાપ્ત થઈ ગયો છે.
હવે પછી આરબીઆઈના નવા કાયદા મુજબ કંપનીઓને ઈનસોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોટ અંર્તગત કોર્ટમાં લઈ જશે. ભારતીય બેંકોના સરવૈયા પ્રમાણે ૧૪.૭૦ લાખ કરોડ રૂપિયાની સ્ટ્રેસ્ડ લોન છે, આરબીઆઈ પહેલાં ૪૦ મોટા ડિફોલ્ટર્સને કોર્ટમાં ઘસડી જવાની સલાહ આપી ચૂકી છે.
આરબીઆઈએ કાયદામાં નવા નિયમો લાગુ કર્યા પછી મે મહિનામાં જ બેંકોને ૩૫ હજાર કરોડ રુપિયા પાછા મળ્યાં હતા. ત્યારે ટાટા સ્ટીલે ભૂષણ સ્ટીલને ટેકઓવર કરી લીધી હતી. સામાન્ય રીતે જોઈએ તો કાયદા કડક હશે તો જ ડિફોલ્ટર થતાં કંપનીઓ ૧૦૦ વખત વિચાર કરશે. પણ જાણકારી મુજબ ૭૦ કંપનીઓને બેંકરપ્સીમાં લઈ જતા રોકવા માટે વધુ તક આપવામાં આવે તેવી શકયતા છે. પણ તક મળે તો કંપનીઓ કદાચ બાકી લોન ચૂકવી શકે તેમ છે.
પણ અત્યાર સુધી કોઈ કંપનીઓ આગળ નથી આવી, તે બતાવે છે કે હવે આટલી રકમ તો ડિફોલ્ટ થશે જ.આ વાત થઈ એનપીએની.. દુનિયામાં ભારતની બેંકોની વધતી જતી એનપીએ દેશ માટે ચિંતાજનક ગણાવી છે, તેની સાથે ખેડૂતોના દેવાની માફી..બેંકો પણ એનપીએથી માંડીને ખેડૂતોના દેવા માફીનો બોજો.. બેંકો કેટલી મજબૂત છે, તે ભાર કે બોજો સહન કરવા માટે. પણ બેંકોમાં આટલી મોટી એનપીએ કેમ ઉભી થઈ છે તે તપાસ થવી જ જોઈએ.
સામાન્ય વ્યક્તિ બેંકમાં લોન લેવા જાય છે, ત્યારે બેંકો તરફથી કેટલા બધા ડોક્યુમેન્ટ લેવામાં આવે છે, તમામ પેપર સબમીટ થાય અને તેની ખરાઈ થયા પછી જ લોન અપાય છે. હાઉસીંગ લોન જેણે લીધી હશે તે બધાનેઅનુભવ હશે જ. એક લોન માટે બેંકના કેટલા ઘક્કા ખાવા પડે છે. તો પછી બેંકોએ આ ૭૦ કંપનીઓને લોન કયા બેઝ પર આપી, તેની તપાસ આરબીઆઈએ કરીને જવાબદારો સામે પગલાં લેવા જ જોઈએ. બેંક મેનેજમેન્ટ કેમ આંખ આડા કાન કરી રહ્યું છે.
વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી લોન ચૂકવ્યા વગર વિદેશમાં ભાગી ગયા છે, તેમની પાસેથી વસૂલાત કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરાઈ રહી છે. હાલ તેમનું પ્રત્યાર્પણ વિદેશી કોર્ટ કરે છે કે નહીં તેના પર વસૂલાત નિર્ભર બનશે, અને કસૂરવારને જેલની સજા.આરબીઆઈ દ્વારા કડક કાયદા બને તે જરૂરી છે. હવે પછી બેંકોમાં નવી એનપીએનું સર્જન ન થાય તે માટે આરબીઆઈ અને કેન્દ્ર સરકારે વધુમાં વધુ કડક કાયદા કરવા જોઈએ. બેંકના જે અધિકારી દ્વારા લોન મંજૂર કરનારને કસૂરવાર ઠેરવીને સજાની જોગવાઈ કરવી જોઈએ. જેથી કોઈપણ જાતની બેદરકારી કે હોદ્દાનો દૂરુપયોગ ન થાય. કેન્દ્ર સરકારે પણ બેંકોની એનપીએ ઘટાડવા માટે દર વર્ષે નવા નાણા બેંકોમાં રોકાણ કરી રહી છે, અને બેંકોમાં લીકવીડીટી વધારી રહી છે, પણ હવે નવી એનપીએનું સર્જન ન થાય તે માટે સાવચેતી ખૂબ જરૂરી છે.
પણ સવાલ એ છે કે એનસીએલટીમાં ગયા પછી ૭૦ કંપનીઓ પાસેથી કેટલી વસૂલાત થઈ શકે છે કે કેમ?કેન્દ્રીય નાણા પ્રધાને જણાવ્યુ છે, કે વર્તમાન સમયગાળામાં એનપીએમાં વધારો બેંકિંગ વ્યવહારો અને વિવાદિત મિલકતોની ઓળખને કારણે એકદમ બહાર આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે એસેટ્‌સ રિવ્યૂ સિસ્ટમના કારણે, એનપીએના યોગ્ય ડેટાને બેંકિંગ સિસ્ટમમાં જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૧૫માં બેંકોમાં લોનના હિસાબ પર મિલકતની નિશ્ચિત ઓળખ માટે તેને લાવવામાં આવ્યો હતો. આ પહેલા યુપીએ સરકારની જવાબદારી તરીકે એનપીએની સમસ્યા જણાવનારા મંત્રીએ જ્યારે આ માટે આરબીઆઈના આંકડાઓનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે સરકારની હાલત સદનમાં શર્મજનક હતી. સરકારે જણાવેલા આંકડા પ્રમાણે અનુસૂચિત કોમર્શિયલ બેંકોએ ૨૦૦૮ અને ૨૦૧૪ ની વચ્ચે વધુ લોન આપવામાં આવી હતી.તત્કાલિન નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું, કે ૩૧ માર્ચ, ૨૦૦૮ ના રોજ ડેટમાં આપવામાં આવેલી કુલ રકમ રૂ. ૨૫ લાખ કરોડની હતી. ૨૦૧૪ માં યુપીએ સરકારના અંતે હતી, આ આંકડો હવે મોદી સરકારમાં ૬૯ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. જે પુરવાર કરે છે, કે મોદી સરકારના સમયમાં એનપીએનો આંક વધ્યો છે. બેન્કિંગ સેક્ટરની સ્થિતી ભારે ચિંતાજનક છે. આર્થિક વિકાસમાં બેંકિંગ ક્ષેત્રને ટેકો સારો નથી બેંકોની નાજુક સ્થિતિને એ હકીકતથી અંદાજવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં જાહેર ક્ષેત્રની બેંકોએ ૮૫, ૩૭૦ કરોડ રૂપિયાનું નુકસાન નોંધાવ્યું છે. તેમ છતા નોંધનીય છે, કે બે એવી બેંકો છે જેમણે નફો કર્યો છે, જેમાં વિજયા બેંકે રૂ. ૭૨૭ કરોડનો નફો કર્યો અને ઇન્ડિયન બેંકે રૂ. ૧,૨૫૯ કરોડનો નફો કર્યો છે.બેંકિંગ ક્ષેત્રની બગડતી સ્થિતીને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ પ્રોમ્પ્ટ ઍક્શન સુધારાત્મક ફ્રેમવર્ક હેઠળ ૧૧ બેંકોને મૂકી છે. પરિસ્થિતિ વધુ ખરાબ થતી હોય તો છ વધુ સરકારી બેંકોને માળખામાં રાખવામાં આવે છે. તદનુસાર, ૧૭ સરકારી બેંકો આ માળખા હેઠળ લાવવામાં આવશે. ફ્રેમવર્કમાં બેંકોને આરબીઆઈએ નવી શાખાઓ ખોલવા અને મોટા ડિવિડન્ડનું વિતરણ કરવા માટે પ્રતિબંધિત કર્યા છે. સેન્ટ્રલ બેંકોએ આ બેંકોને ધિરાણ કરવાની ક્ષમતાને ઘટાડીને ટ્રેક પર લાવવા માટે કામ શરૂ કર્યુ છે. છેલ્લા નાણાકીય વર્ષમાં, સરકારે બેંકોની સ્થિતિ સુધારવા માટે પુનઃ સંગ્રહની જાહેરાત કરી હતી. પરંતુ માહિતી બતાવે છે કે સરકાર દ્વારા લેવામાં આવેલ આ પગલું સંતોષકારક પરિણામો નથી આપી શક્યુ.ગત વર્ષે ઓક્ટોબરમાં, તત્કાલિન નાણામંત્રીએ આગામી બે વર્ષમાં બે લાખ ૧૦ હજાર કરોડ રૂપિયા બેંકોના પુનઃ સ્થાપના ચૂકવવાની જાહેરાત કરી હતી. અત્રે નોંધનીય છે, કે ૨૦૧૩-૧૪નું નાણાકીંય વર્ષ સમાપ્ત થયુ ત્યારે એટલે કે, મનમોહન સરકારે સત્તામાં થી વિદાઇ લીધાના વર્ષે તો ઠીક પણ ૨૦૧૪ ના અંત સુધી બેંકોનું કુલ એનપીએ બેંકિંગ સિસ્ટમમાં ૪.૩ ટકા હિસ્સો હતો, જ્યારે ત્યાર બાદ મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ આ ૩૧ માર્ચ, ૨૦૧૮ ના રોજ એન.પી.એ ૧૪.૫ ટકા પર પહોંચ્યુ છે. છેલ્લા ૪ વર્ષોમાં, બેંકિંગ કૌભાંડોની સંખ્યા જે રીતે બમણા દરે વધી છે.તાજેતરમાં, આરબીઆઈએ નાણાકીય સ્થિરતાનો રિપોર્ટ બહાર પાડ્યો છે.આરબીઆઇના આંકડાઓથી સ્પષ્ટ છે કે બેંકિંગ સિસ્ટમ ખુબજ ખરાબ સ્થિતિમાં ચાલી રહી છે. પરંતુ, સરકાર આ પરિસ્થિતિ માટે અગાઉની સરકારને જવાબદાર ગણવા માંગે છે. જો કે એનપીએ યુપીએ સરકાર કરતા મોદી સરકારમાં બેફામ વધ્યા છે, અને હવે ૪ વર્ષ પસાર થઈ ગયા છે, આ બગડતી સ્થિતી માટે સરકાર અન્યને જવાબદાર ઠેરવીને પોતાની જવાબદારીમાં થી છટકવા માંગે છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

फोन के ज्यादा इस्तेमाल से सिर की हड्डियों में असामान्य विकास

aapnugujarat

સૉશિઅલ મીડિયાનો સદુપયોગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1