Aapnu Gujarat
બ્લોગ

હરિવંશ વા. ચેરમેન બન્યાં પણ શોભાના ગાંઠિયાથી વિશેષ કંઈ ખરું…?

કૉંગ્રેસની હમણાં બરાબરની બુંદ બેઠેલી છે ને કૉંગ્રેસ કંઈ પણ કરે, બધું ઊંધું જ પડે છે. ગુરૂવારે રાજ્યસભાના વાઈસ ચેરપર્સનની ચૂંટણીમાં પણ એવું જ થયું ને કૉંગ્રેસના બી.કે. હરિપ્રસાદનો વરઘોડો ઘરે પાછો આવ્યો. રાજ્યસભાના વાઈસ ચેરપર્સન બનવા માટે આ વખતે બે હરિ વચ્ચે જંગ હતો. હરિપ્રસાદ સામે ભાજપે તેના સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડના હરિવંશ નારાયણ સિંહને ઉતારેલા ને એ જીતી પણ ગયા. આ જીત પણ પાછી ઓછા માર્જીનથી નથી પણ ૨૦ મતના માર્જીનથી છે. કૉંગ્રેસના હરિને ૧૦૫ મત મળ્યા ને તેની સામે ભાજપવાળા હરિ ૧૨૫ મત લઈ ગયા.
રાજ્યસભામાં કુલ ૨૫૦ સભ્યો હોય છે ને તેમાંથી ૧૨ સભ્યો નોમિનેટેડ હોય છે. રાજ્યસભાના વાઈસ ચેરપર્સન એટલે કે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યોના સીધા મતદાનથી થાય છે ને બાકી રહેલા ૨૨૮ સભ્યો મતદાન કરે છે. રાજ્યસભામાં અત્યારે ભાજપ પાસે સૌથી વધારે સભ્યો છે પણ કોઈ પક્ષની બહુમતી નથી. આ સંજોગોમાં જે પણ છાવણીએ પોતાનો ચેરપર્સન બેસાડવો હોય તેણે તોડજોડ કરીને બીજાં બધાંનો ટેકો લેવો પડે. રાજ્યસભામાં ભાજપ ભલે સૌથી મોટો પક્ષ હોય પણ તેના સાથી પક્ષોના થઈને પણ એટલા સભ્યો નથી કે જેના કારણે રાજ્સસભામાં ભાજપ ધાર્યું કરાવી શકે. બલકે ભાજપની સામે લડતા પક્ષોના સભ્યોની સંખ્યા વધારે છે. આ સંજોગોમાં ભાજપની વિરોધી છાવણીનો ઉમેદવાર જીતે તેવી શક્યતા હતી પણ કૉંગ્રેસની છાવણી ઊણી ઊતરી ને પોતાના ઉમેદવારને ના જીતાડી શકી.
આમ તો રાજ્યસભાના વાઈસ ચેરપર્સનના હોદ્દામાં કશું કમાવાનું નથી. આ હોદ્દો શોભાના ગાંઠિયા જેવો જ છે પણ અહીં સવાલ રાજકીય પ્રતિષ્ઠા અને મુત્સદ્દીગીરીનો હતો. આ બંને મામલે ભાજપનો હાથ ઉપર રહ્યો છે એ કબૂલવું પડે. આ ચૂંટણીમાં હાર થાય તો તેનાથી આભ તૂટી પડવાનું નહોતું કે નરેન્દ્ર મોદી સરકાર ઘરભેગી થવાની નહોતી પણ કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં કૉંગ્રેસનો ઉમેદવાર જીતી જાય તો ભાજપ માટે નીચાજોણું તો થાય જ. આ નીચાજોણું ના થાય ને આબરૂનો ફજેતો ના થાય એટલે ભાજપે મુત્સદ્દીગીરી વાપરીને આ પદ જેડીયુને આપી દીધું. તેના કારણે બે ફાયદા થયા. પહેલો ફાયદો એ કે ભાજપ પોતાના સાથી પક્ષોને સાચવવા જેટલો ઉદાર છે તેવો મેસેજ ગયો ને બીજો એ કે ભાજપનો ઉમેદવાર ઊભો રહ્યો હોત તો જે પક્ષો કૉંગ્રેસની પંગતમાં બેસી ગયા હોત એ પક્ષો ભાજપના સમર્થનવાળા ઉમેદવારની પડખે રહ્યા. આ રીતે ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યાં.
એનડીએના ઉમેદવાર હરિવંશને ધાર્યા કરતાં વધારે મત મળ્યા તેનું કારણ એ કે, બીજુ જનતા દળ (બીજેડી) અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) એ બે પક્ષોના મત તેમને મળ્યા. બીજેડીના ૯ ને ટીઆરએસના ૬ મળી કુલ ૧૫ સભ્યો છે. તમિળનાડુના બંને મુખ્ય પક્ષો ડીએમકે અને એઆઈડીએમકેના મત પણ તેમને મળ્યા. અંદરખાને બીજા પક્ષો પણ એવા હશે કે જેમણે જેડીયુના કારણે હરિવંશને મત આપ્યા. સમાજવાદી પાર્ટી, એનસીપી, પીડીપી, વાયએસઆર કૉંગ્રેસે વગેરે નાના નાના પક્ષોએ જેડીયુના ઉમેદવારને ટેકો આપ્યો હોય તેવી શક્યતા છે જ. બાકી એ સિવાય તેમને આટલા મત ના મળ્યા હોત.
ભાજપનો ઉમેદવાર ઊભો રહ્યો હોત તો આ બધા તલવાર તાણીને ઊભા રહી ગયા હોત પણ ભાજપે શાણપણ વાપરીને પોતાનો ઉમેદવાર ઊભો ના રાખ્યો તેથી તેમનો પણ ભાજપનો વિરોધ કરવાનો ઉત્સાહ ઓસરી ગયો. બીજેડી, ટીઆરએસ વગેરે પક્ષો ભાજપના જેટલા વિરોધી છે તેટલા જ કૉંગ્રેસના પણ વિરોધી છે પણ જેડીયુના વિરોધી નથી તેથી તેમને જેડીયુના ઉમેદવારને મત આપવામાં કોઈ સંકોચ ના નડ્યો. કૉંગ્રેસે પોતાના ઉમેદવારને બદલે બીજા પક્ષના ઉમેદવારને ઊભા રાખ્યા હોત તો કદાચ તેને આ ફાયદો મળ્યો હોત પણ કૉંગ્રેસ એ શાણપણ ના વાપરી શકી ને ભાજપ ફાવી ગયો.
ભાજપે આ જીત દ્વારા પોતાની આબરૂ બચાવી ને સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોણ કોણ પોતાની સાથે આવી શકે તેમ છે તેનો ક્યાસ પણ કાઢી લીધો. ભાજપને એક વાત સમજાઈ કે, બીજેડી કે ટીઆરએસ જેવા પક્ષો પોતાના નામથી ભલે ભડકે પણ નીતીશ કુમાર કે પછી બીજા કોઈ સાથી પ્રાદેશિક પક્ષના નેતા સામે તેમને વાંધો નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપ નીતીશ કુમાર સહિતના નેતાઓની વગનો ઉપયોગ કરીને આ પક્ષોને પોતાની તરફ ખેંચી શકે. બીજેડી તો પહેલાં ભાજપનો સાથી હતો જ એ જોતાં તેમને છોછ પણ ના હોય. ભૂતકાળમાં ભાજપે આ વ્યૂહરચના અપનાવેલી જ.
ભાજપની કોમવાદી છાપના કારણે ૧૯૯૦ના દાયકામાં પ્રાદેશિક પક્ષો તેની પંગતમાં બેસવા તૈયાર નહોતા. એ વખતે ભાજપે લાલકૃષ્ણ અડવાણીને કોરાણે મૂકીને અટલ બિહારી વાજપેયીને આગળ કરેલા. એ રીતે ભાજપે પોતાની કોમવાદી છાપને ભૂંસવાનું કામ કર્યું. પ્રાદેશિક પક્ષો સુધી આ વાત પહોંચાડવા માટે એ વખતે ભાજપે જ્યોર્ઝ ફર્નાન્ડિઝને પસંદ કરેલા. ફર્નાન્ડિઝ એ વખતે સમતા પાર્ટીના કર્તાહર્તા હતા. ફર્નાન્ડિઝને એનડીએના કન્વિનર બનાવી દીધા ને તેમને પ્રાદેશિક પક્ષોને ખેંચવાનું કામ સોંપાયેલું. વાજપેયીની સરકાર ૧૯૯૬માં માત્ર ૧૩ દિવસ ટકીને ઘરભેગી થઈ ગયેલી. બે વર્ષ પછી ૧૯૯૮માં એ જ વાજપેયીને ભાજપના કટ્ટર વિરોધી મનાતા પક્ષોનો ટેકો મળી ગયેલો. ભાજપને કોમવાદી કહીને ગાળો ભાંડતા ચંદ્રાબાબુ નાયડુથી માંડીને મમતા બેનરજી સુધીનાં બધાં ભાજપની પંગતમાં બેસી ગયેલાં. જ્યોર્જ ફર્નાન્ડિઝ તેમને સમજાવીને લઈ આવવામાં સફળ રહેલા.
ફર્નાન્ડિઝે આ કામગીરી એટલી અસરકારક રીતે બજાવેલી કે જમ્મુ અને કાશ્મીરના ફારૂક અબ્દુલ્લા જેવા નેતા પણ ભાજપની પંગતમાં બેસી ગયેલા. કાશ્મીરમાં મુસ્લિમ મતબૅંક મોટી છે ને એ ભાજપના નામથી ભડકે છે. તેને નારાજ કરવાનું જોખમ ઉઠાવીને પણ ફારૂક ભાજપ સાથે જોડાયેલા. અત્યારે દેશના રાજકારણમાં છવાઈ ગયેલા પ્રાદેશિક પક્ષોના મમતા બેનરજી, નીતીશ કુમાર, બીજુ પટનાઈક, ચંદ્રશેખર રાવ સહિતના બધા નેતા એ વખતે વાજપેયી સરકારમાં પ્રધાન હતા. નીતીશ કુમારની જેડીયુ સમતા પાર્ટીનો જ નવો અવતાર છે એ જોતાં અત્યારે નીતીશ એ ભૂમિકા ભજવી શકે. લોકસભાની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોને એ એનડીએમાં ખેંચી લાવી શકે. આ ચૂંટણી દ્વારા ભાજપે એ માટેનો તખતો તૈયાર કરી દીધો છે. હવે નીતીશનો કેવો ઉપયોગ થાય છે તેનો આધાર ભાજપની નેતાગીરી પર છે.
હરિવંશ રાજ્યસભાના વાઈસ ચેરમેન બન્યા એ તેમના માટે અંગત રીતે મોટી સિદ્ધિ છે પણ આ હોદ્દો શોભાના ગાંઠિયાથી વિશેષ કંઈ નથી. રાજ્યસભાના વાઈસ ચેરમેન ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાની કામગીરી સંભાળતા હોય છે ને આપણે ત્યાં તો ઉપરાષ્ટ્રપતિપદમાં જ કશું કમાવાનું નથી ત્યારે વાઈસ ચેરપર્સન તો શું કાંદા કાઢવાનો ? આપણે ત્યાં ઢગલાબંધ બંધારણીય હોદ્દા સાવ શોભાના ગાંઠિયા જેવા છે ને તેમાં ઉપરાષ્ટ્રપતિપદ સૌથી પહેલું આવે. બંધારણીય રીતે ઉપરાષ્ટ્રપતિપદ દેશમાં બીજા નંબરનો સર્વોચ્ચ હોદ્દો મનાય છે. સર્વોચ્ચ બંધારણીય હોદ્દો રાષ્ટ્રપતિનો છે ને તેના પછી ઉપરાષ્ટ્રપતિ આવે પણ આ બીજા નંબરના મનાતા બંધારણીય હોદ્દા પર બેસનારી વ્યક્તિ પાસે કોઈ જ સત્તા નથી ને જેની નોંધ લેવી પડે એવું કરવા જેવું કોઈ કામ નથી. બલકે તેની પાસે સાવ હાસ્યાસ્પદ લાગે તેવાં કામો કરાવાય છે. વાત થોડી કડવી લાગશે પણ આપણે ત્યાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની જે બંધારણીય જોગવાઈ છે તે પ્રમાણે તો ઉપરાષ્ટ્રપતિની હેસિયત રાષ્ટ્રપતિના સ્પેર વ્હીલથી વધારે કંઈ નથી. પંક્ચર પડે ત્યારે એ વ્હીલ લગાવી દેવાનું ને પછી નવું વ્હીલ મળે ત્યારે તેને કાઢી નાંખીને પાછું બૂટ સ્પેસમાં મૂકી દેવાનું. આ સિવાય બીજી કોઈ સત્તા ઉપરાષ્ટ્રપતિ પાસે નથી ને એ કોઈ જ નિર્ણય લઈ શકતા નથી.
ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવવા સિવાય રાજ્યસભાના ચેરમેન તરીકે પણ કામગીરી કરે છે. રાજ્યસભાના ચેરપર્સન તરીકે ઉપરાષ્ટ્રપતિ તે સ્થિતિનો સામનો કરવો પડે છે તે સ્થિતિ ખરેખર તો તેમના હોદ્દાના ગૌરવને અનુરૂપ બિલકુલ નથી. રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિની હાલત ઠોઠિયા અને બારકસ છોકરાંના ક્લાસ ટીચર જેવી હોય છે. એ બરાડા પાડ્યા કરે ને તેમને કોઈ ગાંઠતું જ નથી. રાજ્યસભાના વાઈસ ચેરમેન ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કરતા હોય છે એ જોતાં તેમણે પણ આ બધી વેઠ કરવી જ પડે. આ સંજોગોમાં હરિવંશ માટે શાંતિના દાડા પૂરા થયા ને માથાપચ્ચીસીની જીંદગી શરૂ થઈ ગઈ છે.(જી.એન.એસ)

Related posts

વાંચજો જરૂર…

aapnugujarat

મહેન્દ્રસિંહનો ખેલ પાડી ભાજપે વસંત વગડે સુતેલા “સિંહ”ને છંછેડ્યો..?

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1