Aapnu Gujarat
બ્લોગ

ભાજપ મિશન ર૦૧૯નો બંગાળથી આરંભ થશે

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ર૦૧૯ માટે ‘મિશન બંગાળ’ શરૂ કરવા મિદનાપુરના પ્રવાસે ગયા હતા. જેમાં તેમણે મિદનાપુરમાં એક જંગી રેલીને સંબોધી હતી. રેલીમાં તેમણે ખરીફ પાકના લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારવાના કેન્દ્રના નિર્ણય અંગે લોકોને માહિતગાર કર્યા ગયા હતા.મિદનાપુર મુખ્યપ્રધાન મમતા બેનરજીનો ગઢ છે. તેથી લોકસભાની ચૂંટણી પહેલા જ આ વિસ્તારમાં ભાજપનુ સ્થાન મજબૂત કરવા વડા પ્રધાન મોદીએ ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘મિશન બંગાળ’નો આરંભ કર્યો છે. મોદી કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષમાં ખેડૂતો માટે હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે પશ્ચિમ બંગાળના લોકોને માહિતગાર કરીને મમતા બેનરજીના સમર્થકોને ભાજપ તરફ આકર્ષિત કરવા પ્રયાસો કર્યા હતા. ત્યારે બીજી તરફ રાજકીય સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપનું આ મિશન ખરેખર સાર્થક નિવડશે ખરું?આ વર્ષે વડા પ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં હજુ વધુ પાંચ રેલીઓને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગત ર૯ જૂને પુરુલિયા જિલ્લામાં જાહેરસભાને સંબોધી હતી અને તેના માત્ર ૧પ દિવસ બાદ જ મિદનાપુરમા વડા પ્રધાન મોદીની આ રેલી યોજાઇ હતી.અમિત શાહે ગત મહિનામાં સ્થાનિક નેતાઓને રાજ્યની લોકસભાની ૪ર બેઠક પૈકી રર બેઠક પર વિજય હાંસલ કરવાનું લક્ષ્ય આપીને જણાવ્યું હતું કે ભાજપ ચોક્કસપણે રર બેઠક જીતશે. પશ્ચિમ બંગાળનાં વિવિધ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી પંંચાયતોની પેટા ચૂંટણીમાં એક મજબૂત પક્ષ તરીકે ઊભરી આવ્યો છે.
બીજી તરફ સંસદનુ મોનસૂન સત્ર શરૂ થઈ ગયુ છે ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી સામે પડકાર ફેંકયો છે કે તેઓ સંસદમાં મહિલા અનામત ખરડો પાસ કરી બતાવે. આ ખરડો આઠ વર્ષથી સંસદમાં અટવાયેલો છે. યુપીએના શાસન વખતે આ ખરડો રજૂ કરાયો હતો.૨૦૧૦માં રાજ્યસભામાં આ ખરડો પસાર કરાયો હતો, પરંતુ ત્યારબાદ લોકસભામાં આ ખરડો પસાર થઈ શકાયો નથી.ઉત્તર પ્રદેશના આઝમગઢમાં વડા પ્રધાન મોદીએ ૩૪૦ કિલોમીટરના પૂર્વાંચલ એક્સ્પ્રેસ વેની શિલારોપણ વિધિ કરી ત્યારે કૉંગ્રેસ પર તેઓ વરસી પડ્યા હતા. કૉંગ્રેસને આડે હાથે લેતા વડા પ્રધાને જણાવ્યુ હતું કે કૉંગ્રેસ મુસ્લિમોનો પક્ષ છે. કૉંગ્રેસ જ આ મહિલા આરક્ષણ ખરડાને લોકસભામાં પસાર થવા દેતો નથી અને ભાજપને સંસદ ચલાવવા જ દેતો નથી. તો કોઈ ખરડો કેવી રીતે પસાર કરી શકાય? તેની સામે બીજે દિવસે રાહુલ ગાંધીએ તેનો જવાબ આપ્યો હતો અને વડા પ્રધાનને પડકાર ફેંકયો હતો.તો વળી રાજકીય ગલિયારામાં એવી ચર્ચા ચાલે છે કૉંગ્રેસ મુસ્લિમોનો પક્ષ છે એ કહેવામાં રાહુલે ખાસ કાંઈ ખોટું કહ્યું હોય એવું પણ નથી. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના સમયથી જ કોંગ્રેસની આ નીતિ રહી છે અને કોંગ્રેસના (અત્યારના સમયના) છેલ્લા વડા પ્રધાન મનમોહન સિંહે પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે,દેશના કુદરતી સ્ત્રોતો પર સૌથી પહેલો દાવો મુસ્લિમોનો છે.તેમનું આ નિવેદન કયા આધારે કરાયું હતું એ કહેવું મુશ્કેલ છે. થોડા સમય પહેલાં એક કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં દેશમાં કોમી હુલ્લડો થવાની શક્યતા છે. આવાં નિવેદનો કરીને કૉંગ્રેસ ભાજપની અને મોદીની છબિ ખરડવાની કોશિશ કરે છે, પણ તેમનો આ દાવ વિફળ થશે, એમ કહીએ તો એમાં ખોટું નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વિકાસના મુદ્દા પર લડાઈ હતી, હવે આ ચૂંટણીને કોમી રંગ અપાશે એવી ભીતિ દર્શાવાઈ રહી છે.ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે મિશન ૪૦૦ પ્લસનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ લક્ષ્ય ૨૦૧૪ની લોકસભા ચૂંટણીથી વધુ ૧૨૦ બેઠકનું છે. લોકસભાની કુલ ૫૪૫ બેઠકો છે. આ સ્થિતિમાં ૪૦૦ સીટનું મિશન બહુ મોટો ટાર્ગેટ છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું કહેવું છે કે ભાજપ એવી ૧૨૦ બેઠકો પર વધુ ધ્યાન આપશે કે જ્યાં ગત લોકસભા ચૂંટણીમાં તે હાર્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપ ૨૮૨ બેઠકો પર જીત મળી છે.જ્યાં ભાજપના સાથી પક્ષો જીત્યા છે ત્યાં સાથી પક્ષો ફોકસ કરશે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે ઓડિશાની હારેલી ૨૦ બેઠકો, પ.બંગાળની ૪૦, કેરળની ૨૦ તથા તમિલનાડુ અને પુડ્ડુચેરી મળીને કુલ ૧૨૦ બેઠકો પર અમિત શાહનું વિશેષ ફોકસ છે અને કામ શરૂ થઇ ગયું છે. ભાજપ સંગઠન અને કેન્દ્ર સરકારમાં મોટા ફેરફારો નક્કી થઇ ગયા છે. ટૂંક સમયમાં ફેરફારો થશે. પક્ષના હાઇ કમાન્ડ પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ ઘણાં રાજ્યોની ચૂંટણી બાદ ઘણા હોદ્દેદારો મંત્રી બની ચૂક્યા હોવાથી સંગઠનમાં તેમના સ્થાને નવા ચહેરા લાવવા પડશે. આ ચહેરા રાજ્યો અને કેન્દ્ર સરકાર બંનેમાંથી આવી શકે છે.કહેવાય છેકે યુદ્ધ અને રાજકારણમાં ક્યારેય પોતાના હરીફને ઓછા ન આંકવા જોઇએ, પરંતુ એવું થતું નથી.લોકો વારંવાર એ ભૂલ કરી બેસતા હોય છે. જનસંઘ (ભાજપનો જૂનો અવતાર) ના સમયમાં કોંગ્રેસીઓનો નારો હતો, ’આ દીવામાં તેલ નથી, સરકાર ચલાવવી ખેલ નથી.એ સમયે દેશભરમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. દિલ્હીથી દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ એમ ચારેય બાજુ કોંગ્રેસનું શાસન હતું. આજે સમય બદલાયો છે.જે પાર્ટીને ટોણા મારવામાં આવતા હતા, તે પાર્ટી દેશના વીસ રાજ્યો અને કેન્દ્રમાં એકલા હાથે કે સાથી પક્ષો સાથે સત્તામાં છે.જ્યારે ટોણો મારનારી પાર્ટી આજે માત્ર પાંચ રાજ્યો પૂરતી રહી ગઈ છે અને આગામી દિવસોમાં હજુ સંખ્યા ઘટી શકે છે.આ પરિવર્તન પાછળ અનેક કારણો જવાબદાર છે. વિગત દાયકાઓમાં કોંગ્રેસે અનેક તકો ગુમાવી છે અને ભાજપે પડકારને અવસરમાં પરિવર્તિત કર્યાં છે.ગત ચાર વર્ષમાં ભાજપને જેટલા વિજય મળ્યા છે, તેની પાછળ પાર્ટીની સંગઠન શક્તિ અને મતદાતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આસ્થા સૌથી મોટા કારણ છે.
અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદી સરકારમાં એક પાયાનો ફેર એ છે કે આજના સમયમાં સરકાર અને સંગઠન વચ્ચે અભૂતપૂર્વ તાલમેલ છે.
સંગઠન અને સરકારને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સમર્થન હાંસલ છે. વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન આવું ન હતું. આ તાલમેલનું એક મુખ્ય કારણ સંઘનું લક્ષ્ય પણ છે.અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદી સરકારમાં એક પાયાનો ફેર એ છે કે આજના સમયમાં સરકાર અને સંગઠન વચ્ચે અભૂતપૂર્વ તાલમેલ છે.સંગઠન અને સરકારને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સમર્થન હાંસલ છે.
વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન આવું ન હતું. આ તાલમેલનું એક મુખ્ય કારણ સંઘનું લક્ષ્ય પણ છે.વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થશે.સંઘની ઇચ્છા છે અને પ્રયાસરત છે કે શતાબ્દી સમારંભ સમયે દેશના મોટાભાગના રાજ્યો તથા કેન્દ્રમાં ભાજપની સરકારો હોય.અમિત શાહ ભાજપના જે ’સુવર્ણયુગ’ની વાત કરે છે, તે કદાચ એજ હશે.વર્ષ ૨૦૧૯ માટે જે રણનીતિ બનાવી છે તેમાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોને એ, બી અને સી એમ ત્રણ શ્રેણીમાં વહેંચી દીધા છે. એ શ્રેણીમાં સમાવાયેલા ૧૯ રાજ્યોમાં અમિત શાહ ત્રણ દિવસ રહેશે. આ એ રાજ્યો છે જ્યાંથી સૌથી વધારે લોકસભા સાંસદો ચૂંટાઈને આવે છે. બી શ્રેણીમાં સમાવાયેલ ૭ રાજ્યોમાં અમિત શાહ બે દિવસ વીતાવશે જ્યારે સી શ્રેણીમાં બાકી રહેલ રાજ્યોમાં અમિત શાહ એક દિવસ માટે રોકાઈને માર્ગદર્શન આપશે.જીત મેળવવાની યોજનાને અંતર્ગત ભાજપ નેતૃત્વએ મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને પાંચ પાંચ બેઠકોના જુથ બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રકાશ જાવડેકર, મનોજ સિન્હા, નરેન્દ્ર સિંહ તોમર, પીપી ચૌધરી, ગજેન્દ્ર સિંહ શેખાવત સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. તેના માટે એવા મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે જેની પાસે સંગઠનનો અનુભવ છે. કેન્દ્રીય યોજનાઓ મારફતે પણ જમીન સુધી પહોંચવાનો પ્રયાસ કરશે અને સંગઠનકર્તાના રૂપમાં પણ પાર્ટીને મજબુત બનાવશે.
મોટી સંખ્યામાં બેઠકો માટે પ્રભારી તૈનાત કરવામાં આવી ચુક્યા છે. ભાજપની આ યોજનામાં બે કરોડ મતદાતાઓ શામેલ છે, જે વર્ષ ૨૦૦૦માં જન્મ્યા હતાં અને ૨૦૧૯માં પહીવાર વોટ નાખશે. યુવા મતદાતાઓની સંખ્યાને ધ્યાનમાં રાખી ભાજપે મિશન ૨૦૧૯ અંતર્ગત યુવાઓ પર ખાસો ભાર મુખ્યો છે. જેને અંતર્ગત ‘હર બૂથ-દસ બૂથ’નો ફોર્મ્યુલા આખા દેશમાં લાગુ કરવામાં આવશે. દલિતો અને આદિવાસીઓ તથા ગ્રામીણ મહિલાઓને પાર્ટી સાથે જોડવા માટે ‘ગ્રામ સ્વરાજ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગ્રામ સ્વરાજ અભિયાન દરમિયાન ૨૧,૦૫૮ ગામડાઓ માટે વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે જ્યાં દલિતોની સંખ્યા ઘણી વધારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓને ગામડાઓમાં બે બે રાત વિતાવવાનું કહ્યું છે.૨૦૨૧માં પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભગવો લહેરાવવા ભાજપે અત્યારથી જ કમર કસી છે. ભાજપના નેતાઓના જણાવ્યા મુજબ, ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરવા સહિત વિધાનસભા ચૂંટણીમાં સત્તા હાંસલ કરવાનો લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલા જ કહી ચૂક્યા છે કે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સત્તા હાંસલ કરવી અમારી પ્રાથમિકતા છે.રાજકીય પંડીતો ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને વિરોધ પક્ષોની તાકાતનો ગુણાકાર અને ભાગાકાર લગાવવામાં લાગી ગયાં છે. ૨૦૧૪ની સરખામણીમાં આ વખતેનો ચૂંટણી જંગ એટલા માટે પણ ખુબ રસપ્રદ છે કારણ કે, જ્યાં એકતરફ ભાજપ એકલી છે જ્યારે સામે કોંગ્રેસ સહિતની અનેક મોટી રાજકીય પાર્ટીઓ એકસાથે છે. દેશભરમાં કુલ ૨૯ રાજ્યો છે, જેમાં ૨૧ રાજ્યોમાં સરકારોમાં ભાજપ શામેલ છે. જોકે માત્ર ૧૦ રાજ્યોમાં જ ભાજપની પૂર્ણ બહુમતીની સરકાર છે. મેઘાલયમાં ભાજપ ભલે જ સરકારમાં શામેલ હોય, પણ અહીં ભાજપના માત્ર ૨ જ ધારાસભ્યો છે. બિહારમાં ભાજપ-જેડીયુની ગઠબંધનની સરકાર છે, પરંતુ અહીં ૨૪૩ વિધાનસભાની બેઠકોમાં ભાજપના માત્ર ૫૩ ધારાસભ્યો છે. જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ-પીડીપીની સરકાર છે, પરંતુ અહીં ૮૭માંથી ભાજપના ૨૫ જ ધારાસભ્યો છે. ગોવામાં પણ ભાજપની મનોહર પર્રિકરની આગેવાનીમાં સરકાર રચાઈ, પરંતુ અહીં ૪૦માંથી માત્ર ૧૩ ધારાસભ્યો છે.દેશમાં કુલ ૪૧૩૯ ધારાસભ્યોની બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે ૧૫૧૬ બેઠકો છે. તેમાં મહત્વની વાત એ છે કે, ૯૫૦ બેઠકો એ છ રાજ્યોમાંથી આવે છે, જેમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની છે. બાકીના ૨૩ રાજ્યોમાં મળીને ભાજપ પાસે ૫૬૬ ધારાસભ્યો છે.આંધ્ર પ્રદેશની ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી માત્ર ૯ પર ભાજપના ધારાસભ્યો છે. જ્યારે કેરળનઈ ૧૪૦ વિધાનસભાની બેઠકોમાંથી માત્ર એક પર જ ભાજપનો ધારાસભ્ય છે. પંજાબની ૧૧૭માં ભાજપન માત્ર ૩ ધારાસભ્યો છે. તેવી જ રીતે પશ્ચિમ બંગાળનીએ ૨૯૪માંથી ભાજપની માત્ર ૩ જ બેઠકો છે. તેલંગાણામાં પણ ૧૧૯ બેઠકોમાંથી માત્ર ૫ પર જ ભાજપ છે.દિલ્હીની ૭૦ બેઠકોમાંથી પણ ભાજપની માત્ર ૩ જ છે. ઓરિસ્સાની ૧૪૭ બેઠકોમાંથી ૧૦ ભાજપની છે. નાગાલેંડની ૬૦ બેઠકોમાં ભાજપ ૧૨ બેઠકો ધરાવે છે. તમિળનાડુ, મિઝોરમ અને સિક્કીમમાં ભાજપની એક જ બેઠક છે.આમ ઉપર આપવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ૨૦૧૯માં જો તમામ વિપક્ષ એકજુથ થઈને મહાગઠબંધન રચે તો ભાજપ સામે પડકાર ઉભો થઈ શકે છે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ પણ અનેકવાર વિરોધ પક્ષો તરફથી પડકાર મળવાના સંકેત આપી ચુક્યાં છે. આ સ્થિતિમાં કહી શકાય કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ‘ચાણક્ય’ તરીકે ઓળખાતા અમિત શાહે ભેગા મળીને ‘મિશન ૨૦૧૯’ નવી જ રણનીતિ બનાવવી પડશે.ભાજપ ફરી એક વાર સોશિયલ મીડિયા પર ભાર મૂકવા તરફ આગળ વધી રહ્યું છે. મિશન ૨૦૧૯ને સર કરવા માટે ભાજપ ખાસ પ્લાન બનાવી રહ્યું છે કે જેના હેઠળ સૌથી વધુ ભાર સોશિયલ મીડિયા પર મૂકાશે અને તેના વડે વિપક્ષી એકતાને માત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય રાજકારણીઓમાંના એક છે. આ સોશિયલ મીડિયાના સહારે જ મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભા ચૂંટણી ૨૦૧૪માં એકલા હાથે બહુમતી હાસલ કરી હતી.હવે જ્યારે ફરી એક વાર લોકસભા ચૂંટણી ૨૦૧૯ આવી રહી છે ત્યારે ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકેદારોની સોશિયલ મીડિયા પર સક્રિયતા વધારવાની તૈયારી શરુ કરી દિધી છે. તેના માટેની કવાયત પણ શરુ થઈ ગઈ છે.હકીકતમાં ભાજપ પોતાના કાર્યકરોની સાથે-સાથે એવા લોકોની ફોજ તૈયારી કરી રહ્યું છે કે જે સોશિયલ મીડિયા પર મોદી સરકારના વિરોધીઓને જડબાતોડ જવાબ આપે છે. એવા લોકોની ઓળખ કરવા માટે તેમની સાથે બેઠકોનો દોર પણ શરુ કરાયો છે. આગામી દિવસોમાં આ કડીમાં વધુમાં વધુ લોકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે.ભાજપે સોશિયલ મીડિયા પર કાર્યકરો અને સમર્થકોની સક્રિયતા વધારવા માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે દિલ્હીના એનડીએમસી કન્વેંશન સેન્ટરમાં સોશિયલ મીડિયાના લગભગ ચાર સો કાર્યકરો સાથે બેઠક કરી આગળની રણનીતિ તૈયાર કરી. ભાજપનું માનવું છે કે કાર્યકરો અને મોદી સમર્થકોની ફોજના સહારે વિરોધીઓના દુષ્પ્રચારને જવાબ આપવાની સાથે-સાથે સરકારની સિદ્ધિઓ પણ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે.અમિત શાહે યોજેલી બેઠકમાં ફેસબુક પર છ હજાર અને ટિ્‌વટર પર ૨ હજાર જેટલા ફૉલો કરનાર લોકોને આમંત્રિત કરાયા હતાં. શાહે તમામને પોતાની સક્રિયતા વધારવા કહ્યું. આ બેઠકમાં અમિત શાહે કહ્યું કે,૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ભાજપ સૌથી વધુ સક્રિય હતું. હવે અન્ય પાર્ટીઓ પણ સક્રિય થઈ છે. તેથી પાર્ટીએ વધુ મહેનત કરવાની જરૂર છે. મોદી સરકારની જન-કલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવવો જોઇએ. હાલમાં તેમાં કમી દેખાઈ રહી છે.અમિત શાહે વિપક્ષી એકતા અને તેને મળેલી જીત મુદ્દે પણ કાર્યકરોને વિચલિત ન થવાનું કહી જોશ ભરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કાર્યકરોને કહ્યું કે,ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોના એક થવાની કવાયતથી કાર્યકરોએ પરેશાન થવાની જરૂર નથી. મહાગઠબંધન બનાવવાની વાત કરનારા એ જ લોકો છે કે જેઓ ગત ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ લડ્યા હતાં. તેમાંથી મોટાભાગનાનો એક રાજ્ય સિવાય અન્ય કોઈ રાજ્યમાં જનાધાર નથી.
આ નેતાઓની પોતાની રાજકીય મહત્વાકાંક્ષા છે કે જેના કારણે તેમનામાં પરસ્પર મતભેદ છે. ભાજપ કાર્યકરોએ ઉત્સાહ સાથે પોતાના કામમાં લાગેલા રહેવું જોઇએ. નિશ્ચિત રીતે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો જ વિજય થશે.આમ, ભાજપ મિશન ૨૦૧૯ માટેની તૈયારીઓમાં જોતરાઈ ગયું છ અને અમિત શાહ ફરી એક વાર એ જ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાની તૈયારીમાં છે કે જેના બળે ગત ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવામાં સફળતા મળી હતી.

Related posts

૫૦ વર્ષમાં એક પણ મહિનામાં ગરમીમાં ઘટાડો જોવા મળ્યો નથી : સ્ટડી

aapnugujarat

પર્રિકરે રાજીનામું આપી નૈતિકતા સાબિત કરવી જોઈએ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1