કોંગ્રેસના નરમ વલણથી સપા, બસપા, આરજેડીને રાહત
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પીછેહઠ કરતા આને લઇને આજે રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી હતી. જુદા જુદા પક્ષોએ પોતપોતાનીરીતે પ્રતિક્રિયા આપી હતી. ટીએમસી દ્વારા કોંગ્રેસના આ વલણનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી. ત્યારે આને લઇને ગણતરીનો દોર શરૂ થયો છે. વિપક્ષી દળોની એકમાત્ર યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારને હટાવવાનું છે. આજ કારણસર કોંગ્રેસે વડાપ્રધાન પદ પર પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે, પોતાના અધ્યક્ષ રાહુલ ગાંધીને સ્થાને અન્ય કોઇ પાર્ટીના નેતાને પણ વડાપ્રધાન બનાવવાને લઇને કોંગ્રેસના વિકલ્પો ખુલ્લા છે. પાર્ટીના આ વલણને લઇને અન્ય પક્ષો તરફથી પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઇ ચુકી છે. કોંગ્રેસનું કહેવું છે કે, કોઇપણ વડાપ્રધાન તેમને સ્વીકાર્ય હોઈ શકે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપના સંબંધ તેની સાથે હોવા જોઇએ નહીં. કોંગ્રેસના આ વલણનું ટીએમસી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ સાથે જે પાર્ટીઓ હાથ મિલાવવા ઇચ્છુક છે તેમાં વડાપ્રધાન પદના ઇચ્છુક લીડરો પોતાની મહત્વકાંક્ષાને છુપાવવાની સ્થિતિમાં નથી. મમતા બેનર્જી, માયાવતી અને અન્ય પાર્ટીના નેતાઓ પણ રાહુલ ગાંધીને સ્વીકારવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના સાંસદ અધિરરંજન ચૌધરીએ પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે, તૃણમુલ કોંગ્રેસ તથા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યમાં કોંગ્રેસને ખતમ કરવાના કામમાં લાગેલી છે. કોંગ્રેસ તેમને વડાપ્રધાન બનાવવા જાય તે યોગ્ય નથી પરંતુ ટીએમસીના નેતા દિનેશ ત્રિવેદીએ કહ્યું છે કે, લોકશાહીમાં પ્રજા નક્કી કરશે કે દેશના વડાપ્રધાન કોણ બનશે. તૃણમુલ કોેંગ્રેસના સાંસદ સુખેન્દુરોય ચૌધરીએ વડાપ્રધાન પદની ઉમેદવારી પર કોંગ્રેસના હળવા વલણનું સ્વાગત કર્યું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદથી આક્ષેપપ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે.
તૃણમુલ કોંગ્રેસના સાંસદ તરફથી પ્રતિક્રિયા જે રીતે આવી છે તે જોતા સૌથી વધારે વાંધો તૃણમુલ કોંગ્રેસને જ હતો. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર વેળા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો તેમની પાર્ટી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવશે તો વડાપ્રધાનના દાવેદાર રહેશે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા નથી. મોદીના ચહેરા પર આ વાસ્તવિકતા તેઓ જોઇ ચુક્યા છે. વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કર્યાના બે દિવસ બાદ જ આજે કહ્યું હતું કે, વિરોધ પક્ષો વચ્ચે સહમતિ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે. કોંગ્રેસે મંગળવારના દિવસે સંકેત આપ્યો હતો કે, વિરોધ પક્ષોની વચ્ચે વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને સહમતિ બને તેવા પ્રયાસ હવે હાથ ધરવામાં આવશે.
રાહુલ ગાંધીના નામ ઉપર વિરોધ પક્ષોમાં સહમતિ બની રહી નથી. આવી સ્થિતિમાં પાર્ટી કોઇ બિનકોંગ્રેસી નેતાને પણ આ પદ ઉપર સ્વીકાર કરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ પાસેથી એવી આશા હતી કે, તેઓ ભાજપ વિરોધી ગઠબંધનના શિલ્પી તરીકે ઉભરી આવશે.
સુત્રોનું કહેવું છે કે, ટોપલીડરશીપ માને છે કે, પાર્ટીને વિપક્ષી દળો સાથે વાતચીત આગળ વધારવા માટે ખુલ્લા મનથી વિચારણા કરવાની જરૂર છે. પાર્ટીનું મુખ્ય ધ્યાન મોદીના નેતૃત્વમાં સરકારને બહારનો રસ્તો દેખાડવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્ષેત્રીય પક્ષોના નેતાને પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકાર કરવામાં આવી શકે છે તેવા કોંગ્રેસના સંકેત બાદ ક્ષેત્રિય પક્ષોને રાહત થઇ છે. કોંગ્રેસના આ વલણથી ટીએમસીના નેતા મમતા બેનર્જી, બહુજન સમાજ પાર્ટીના માયાવતી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, આરજેડીના લાલૂ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવને પરોક્ષરીતે રાહત મળી છે. કારણ કે, આ તમામ પાર્ટીઓના નેતાઓ પણ વડાપ્રધાન પદને લઇને મહત્વકાંક્ષી બનેલા છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે સ્વીકારવા માટે તૈયાર થઇ રહ્યા ન હતા.
પરોક્ષરીતે આનો સંકેત પણ આપી રહ્યા હતા. વધુ નુકસાન ન થયા તે માટે કોંગ્રેસે પરિસ્થિતિને ધ્યાનમાં લઇને વિપક્ષી દળોને સાથે રાખીને આગળ વધવાની તૈયારી કરી છે. પરંતુ જાણકાર નિષ્ણાતો માની રહ્યા છે કે, કોંગ્રેસની આ કવાયત તેને નુકસાન કરી શકે છે. સાથી પક્ષો માટે વધારે સીટોનું બલિદાન આપવાની સ્થિતિમાં તે પોતાની રીતે મર્યાદિત પાર્ટી બની શકે છે.