વિસનગર કોર્ટે તોડફોડ અને હિંસા કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવીને બે વર્ષની સજા આજે ફટકારી હતી. જો કે, તેને જામીન પણ આપી દેવામાં આવ્યા હતા. જામીન મળ્યા બાદ હાર્દિક પટેલે મિડિયા સાથે વાતચીત કરીને ભાજપ સરકાર ઉપર ફરી પ્રહાર કર્યા હતા. હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, ૨૫મી ઓગસ્ટના દિવસે આમરણ ઉપવાસ પર ઉતરવાની તેમની યોજના અકબંધ છે. આ ઉપવાસ ઐતિહાસિક બની રહેશે. મોટી સંખ્યામાં લોકો જોડાશે. હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, સરકાર સામે તેમની લડત જારી રહેશે. હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, સરકાર અંગ્રેજ બનશે તો તેમને ભગતસિંહ બનવામાં વાંધો નથી. ચૂંટણીના સંદર્ભમાં કહ્યું હતું કે, જરૂર પડશે તો ચૂંટણી પણ લડશે. ઉપવાસ માટે અમદાવાદમાં મંજુરી માંગવામાં આવી છે. હાર્દિકે કહ્યું હતું કે, સત્તાધારી ભાજપ એવું માનતો હોય કે, હાર્દિક પટેલને જેલમાં મોકલવાનો છે પરંતુ હાર્દિક આંદોલન શરૂ કર્યું ત્યારથી જ લડતના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યો છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિકે કહ્યું હતું કે, ભાજપ સચ્ચાઈ, ખેડૂતો, યુવાનો અને ગરીબો માટે લડત ચલાવવાથી તેને રોકી શકશે નહીં. વિસનગર કોર્ટના ચુકાદા બાદ આ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. ચુકાદા બાદ હાર્દિકે કહ્યું હતું કે, સામાજિક ન્યાય અને અધિકારો માટે તેની લડત જારી રહેશે. આરપારની લડાઈ લડવાની હાર્દિકે વાત કરી હતી. હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, સરકારને જે કરવું હોય તે કરે. જે સજા કરી છે તેનાથી ડરતો નથી. ન્યાય માટે ઉપલી કોર્ટમાં જવામાં આવશે. સજાનો ડર બતાવવાથી તે ગભરાશે નહીં. છેલ્લી આરપારની લડાઈમાં ન્યાય મેળવવા પ્રયાસ કરવામાં આવશે. આ લડાઈ વ્યક્તિની નથી વિચાર સાથેની લડાઈ છે. હાર્દિકે ચૂંટણી લડવા માટેની તૈયારી પણ દર્શાવી હતી. ઘણી બધી રજૂઆતો કોર્ટમાં કરી હતી પરંતુ લોકશાહીની હત્યા કરવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ફરિયાદમાં હાર્દિક પટેલ, વિસનગરનો ઉલ્લેખ છે. તપાસમાં પણ એ મુજબ થઇ છે. હુ અને લાલજી કાર્યક્રમ પૂર્ણ કરીને નિકળી ગયા હતા. ઘટના બાદમાં થવાનો ઉલ્લેખ છે છતાં સ્થિતિ બદલાયેલી દેખાઈ રહી છે. આમરણ ઉપવાસનો કાર્યક્રમ યથાવત રહેશે. ઘેર બેસી રહીએ તે તેના સ્વભાવમાં નથી. રાજદ્રોહ સહિતનો કેસ જુદો છે. હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી ન લડે તે માટે આ બધુ થઇ રહ્યું છે. પરંતુ મારે એ લોકોને કહેવું છે કે, અમે આ માટે બહાર આવ્યા નથી. ગુજરાતના લોકો ઉપર વિશ્વાસ છે. ઉપવાસની મંજુરી માંગવામાં આવી છે. ૨૫ વર્ષના યુવાનથી સરકારને ભય છે. વિપક્ષથી જેટલો ડર સરકારને નથી તેટલો આંદોલનકારીઓથી લાગી રહ્યો છે. ગુજરાતની શાંતિ માટે પણ પ્રયાસો કરવામાં આવશે. તાલુકે તાલુકે બેઠકો પણ ચાલુ કરવામાં આવશે. કેસો પાછા ખેંચવાની વાત હતી પરંતુ આ ચુકાદાથી સ્પષ્ટ થઇ ગયું છે કે, અમારા કેસ ઝડપથી ચાલી રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ