જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવામાં સુરક્ષાદળોની સદી પુરી થઈ ચુકી છે. મંગળવાર સુધીમાં સુરક્ષાદળોએ ૧૦૧ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ગત છ માસમાં ૧૦૧ આતંકવાદીઓને સેનાના જવાનોએ અલગ-અલગ કાર્યવાહીઓમાં મોતને ઘાટ ઉતાર્યા છે. આ આતંકવાદીઓમાં ૨૬થી ૨૭ જેટલા આતંકવાદીઓ વિદેશી હતા અને બાકીના ૭૩થી ૭૪ આતંકવાદીઓ સ્થાનિક હતા. મહત્વપૂર્ણ છે કે ૨૦૧૭માં ભારતીય સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં ૨૧૩ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
કાશ્મીરમાં યુવાનોના સતત આતંકવાદી સંગઠનોમાં ભરતી થવાના મામલે સુરક્ષા એજન્સીઓ ખાસી ચિંતિત છે. ૨૦૧૮માં અત્યાર સુધીમાં ૮૨ સ્થાનિક યુવકો આતંકવાદી બની ચુક્યા છે. હિઝબુલ મુજાહિદ્દીનમાં ૪૦, લશ્કરે તૈયબામાં ૧૫ અને જૈશ-એ-મોહમ્મદમાં ૧૫ આતંકવાદીઓ સામેલ થઈ ચુક્યા છે. એપ્રિલમાં સૌથી વધુ ૨૫ સ્થાનિકો આતંકીજૂથોમાં સામેલ થયા હતા.
મે માસમાં આતંકી બનનારા સ્થાનિકોની સંખ્યા દશથી બારની રહી હતી. જૂનમાં વીસથી વધુ સ્થાનિકો આતંકવાદી જૂથોમાં સામેલ થયા હતા. મહત્વપૂર્ણ છે કે ૨૦૧૫માં ૬૬, ૨૦૧૬માં ૮૮ અને ૨૦૧૭માં ૧૨૮ સ્થાનિકો આતંકી જૂથોમાં સામેલ થઈ ચુક્યા છે. સુરક્ષાદળો મુજબ. કાશ્મીરમાં વધી રહેલા કટ્ટરવાદ અને આતંકવાદીઓના જનાજાઓમાં લોકોની ઉભરાતી ભીડ અહીંના યુવાનોને આતંકી જૂથોમાં ભરતી કરવાનું માધ્યમ બને છે.