દેશભરમાં જાતિય સતામણીના કિસ્સા વધી રહ્યાં છે, એમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પણ સામેલ છે. દેશની ઉચ્ચ શિક્ષણની નિયામક સંસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી)એ દેશની તમામ યુનિવર્સિટીઓ પાસેથી આંતરિક ફરિયાદ સમિતિ(આઈસીસી)ની વિસ્તૃત વિગતો માંગી છે, જેમાં જાતિય સતામણીના કેટલા કિસ્સા બન્યા છે, તેની આંકડાકીય વિગતો તાત્કાલિક આપવા આદેશ કર્યો છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલા કર્મચારીઓ તેમજ વિદ્યાર્થિની જાતિય સતામણીના કિસ્સાઓ નિરાકરણ તેમજ અટકાવ માટે એક્ટ-૨૦૧૫ અંતર્ગત શિક્ષણ સંસ્થાઓમાં આંતરિક ફરિયાદ સમિતિ અને જાતિય હિંસા તથા જાતિય મુદ્દાઓ અંગેની એક વિશેષ કમિટીની રચના કરવી ફરજિયાત છે.
યુજીસીએ તમામ યુનિવર્સિટીઓ પાસે એપ્રિલ-૨૦૧૭ થી માર્ચ-૨૦૧૮ દરમિયાન જાતિય સતામણીની મળેલી ફરિયાદોનો વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. આ માટે યુજીસીએ યુનિવર્સિટીઓને ૩૧ જુલાઈ, ૨૦૧૮ સુધીની સમયમર્યાદા આપી છે.
યુજીસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘યુનિવર્સિટીઓ પાસે ઉપરોક્ત સમય દરમિયાન મળેલી જાતિય સતામણીની વિગતોનો અહેવાલ માગ્યો છે. સાથે મળેલી ફરિયાદ પછી કેટલી ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું તેની વિગતો અને ૯૦ દિવસથી વધુ સમય સુધી લંબાયેલાં જાતિય સતામણીની ફરિયાદોની વિગતો પણ આપવી પડશે.
યુજીસીએ માંગેલાં અહેવાલમાં એ પણ દર્શાવવું પડશે કે, જાતિય સતામણીની ફરિયાદ બાદ યુનિવર્સિટીએ શું શું પગલાં ભર્યા ? તેમજ જાગૃતિ ફેલાવવાના ભાગરુપે યુનિવર્સિટીએ જાતિય સતામણીને લઈને કેમ્પસમાં કેટલા વર્કશોપ અને કાર્યક્રમ યોજ્યા, તેની વિગતો પણ આપવી પડશે.
આગળની પોસ્ટ