વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં શ્રી ભારતી વિદ્યાલયમાં ધોરણ-૯માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની ચપ્પાના ૨૧થી વધુ ઘા મારી અત્યંત કમકમાટીભરી હત્યા કરવાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા પ્રકરણમાં પોલીસે શાળાના જ ધોરણ-૧૦ના આરોપી વિદ્યાર્થીની વલસાડથી ધરપકડ કરી લીધી હતી. આરોપી વિદ્યાર્થીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, આ વિદ્યાર્થીને ત્રણ દિવસ પહેલાં હોમવર્ક નહી લાવવાના કારણસર શાળાના શિક્ષકે ગંભીર ઠપકો આપ્યો હતો અને માર્યો હતો. તેથી તેનો ગુસ્સો રાખી આરોપી વિદ્યાર્થીએ કાયમી ધોરણે શાળા બંધ કરાવવા ધો-૯ના વિદ્યાર્થીની હત્યાને અંજામ આપ્યો હતો. જો કે, પોલીસ વિદ્યાર્થીએ કરેલા આ ખુલાસા છતાં બીજી થિયરીઓ પણ તપાસી રહી છે. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, ધોરણ-૧૦ના હત્યારા વિદ્યાર્થીએ માત્ર ૯૦ સેકન્ડમાં જ ધોરણ-૯ના વિદ્યાર્થી દેવ ભગવાનદાસ તડવીની અત્યંત કમકમાટીભરી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. હત્યારા વિદ્યાર્થીએ હત્યા બાદ તેનું સફેદ શર્ટ કાઢી બાજુના મંદિરની છતર પર ફેંકી દીધુ હતું. જો કે, પોલીસે ધોરણ-૯ના વિદ્યાર્થીની હત્યા કયા કારણથી અને શા માટે કરવામાં આવી તેનું સાચુ કારણ જાણવાની દિશામાં તપાસ વેગવંતી બનાવી છે. આ હત્યામાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીની સાથે અન્ય કોઇ વિદ્યાર્થીઓ કે અન્ય કોઇ આરોપી સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, આજે સતત બીજા દિવસે શ્રી ભારતી વિદ્યાલયમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું, કારણ કે, મૃતક વિદ્યાર્થીના વાલીઓ અને પરિવારજનો સહિતના લોકોએ સ્કૂલમાં જોરદાર હોબાળો મચાવ્યો હતો અને તેઓને ન્યાય આપવા અને હત્યારા વિદ્યાર્થીને ફાંસી અથવા જન્મટીપની આકરી સજા ફટકારવા માંગણી કરી હતી. દરમ્યાન રાજયના બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડયાએ પણ વડોદરાની મુલાકાત લઇ સ્થાનિક જિલ્લા પોલીસ વડા, મેયર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના સત્તાધીશો સાથે આ સમગ્ર ઘટના અંગે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરી હતી. રાજયભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા આ કિસ્સાની વિગત એવી છે કે, વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયના શૌચાલયમાંથી નવમાં ધોરણમાં ભણતા દેવ ભગવાનદાસ તડવી નામના વિદ્યાર્થીનો મૃતદેહ આજે બપોરના સમયે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીને માથા, પેટ, ગળા અને હાથના ભાગે ઘા માર્યા બાદ દિવાલ સાથે માથુ પછાડીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ વિદ્યાર્થીના મૃતદેહને જોઇને સ્તબ્ધ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વાલીઓ અને આસપાસમાં રહેતા લોકોના ટોળા સ્કૂલમાં એકત્ર થઇ ગયા હતા. પોલીસે સમગ્ર મામલાની ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ખૂબ જ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં શ્રી ભારતી વિદ્યાલયની દિવાલ પાસે આવેલા મંદિરની છત પરથી સ્કૂલ બેગમાં મળી આવી હતી અને સ્કૂલ બેગમાંથી ચાકૂ ઉપરાંત બે પંચ અને બોટલમાંથી મરચાની ભૂકીવાળુ પાણી મળી આવ્યુ હતુ. શ્રી ભારતી વિદ્યાલયમાં ધો-૧૦માં ભણતા એક વિદ્યાર્થીએ જ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતાં પોલીસે આજે તેને વલસાડ ખાતેથી ઝડપી લીધો હતો. હત્યા બાદ ધોરણ-૧૦નો વિદ્યાર્થી પોતાના ઘેર જ ગયો ન હતો. આ હત્યા વખતે પોલીસને બે સાક્ષીઓ પણ મળ્યા છે, જેઓ પણ શાળાના વિદ્યાર્થીઓ જ છે અને તેઓ આરોપી વિદ્યાર્થીને સારી રીતે ઓળખે છે. પોલીસે સંવેદનશીલ આ કેસની તપાસ ભારે અસરકારકતાથી હાથ ધરી છે.
(અનુસંધાન નીચેના પાને)