આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારાના અનુસંધાનમાં તેલ આયાતનું બિલ ૪૯.૪૬ ટકા સુધી વધીને ૧૧.૫ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. બીજી બાજુ ટ્રેડ ડેફિસિટ અથવા તો વેપાર ખાધનો આંકડો ૪ મહિનાની ઉંચી સપાટીએ પહોંચીને ૧૪.૬૨ અબજ ડોલર મે મહિનામાં પહોંચ્યો છે. આયાતમાં ૧૫ ટકાનો વધારો થઇ ગયો છે. મે મહિનામાં આયાતમાં આશરે ૧૫ ટકાનો વધારો રહેતા તેની ચર્ચા પણ જોવા મળી રહી છે. સરકાર દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. વાણિજ્યમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું હતું કે, મે મહિનામાં નિકાસ ૨૮.૧૮ ટકા વધીને ૨૮.૮૬ અબજ ડોલર સુધી પહોંચ્યો છે જ્યારે આયાત ૧૪.૮૫ ટકા વધીને ૪૩.૪૮ અબજ ડોલર થઇ છે. ટ્રેડ ડેફિસિટનો આંકડો મે ૨૦૧૭માં ૧૩.૮૪ અબજ ડોલરથી વધીને ૧૪.૬૨ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. તેલ આયાતનો આંકડો ૪૯.૪૬ ટકા વધીને ૧૧.૫ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે બિન પામોલિન ખાદ્યતેલ પર આયાત ડ્યુટી ૫-૧૦ ટકા સુધી વધારી દીધી છે. ક્રૂડ અને રિફાઈન્ડ બંનેના મામલામાં ફેરફાર કરવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં સરકારે ક્રૂડ પામોલિન પર આયાત ડયુટી ૩૦ ટકાથી વધારીને ૪૪ ટકા કરવામાં આવી હતી જ્યારે રિફાઈન્ડ પામોલિન પર આયાત ડ્યુટી ૪૦ ટકાથી વધારીને ૫૪ ટકા કરવામાં આવી હતી. નોન પામોલિન ક્રૂડ અને રિફાઈન્ડ ખાદ્ય તેલ ઉપર કસ્ટમ ડ્યુટી યથાવત રાખવામાં આવી છે. કારણ કે, ઇન્ડસ્ટ્રી બોડી એસઈએ દ્વારા આ અંગેની માંગ કરવામાં આવી હતી. નવેસરના જાહેરનામામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા ક્રૂડ સોયાબીન તેલ ઉપર આયાત ડ્યુટી૩૦ ટકાથી વધારીને ૩૫ ટકા કરવામાં આવી છે. રિફાઈન્ડ સોયાબીન તેલ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ૩૫ ટકાથી વધારીને ૪૫ ટકા કરવામાં આવી છે. સનફ્લાવરના કેસમાં પણ ક્રૂડ વેરાઇટી પર આયાત ડ્યુટી ૨૫ ટકાથી વધારીને ૩૫ ટકા અને રિફાઈન્ડ વેરાઇટી પર ૩૫ ટકાથી વધારીને ૪૫ ટકા કરાઈ છે.