ભાજપના પ્રેદશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસના બેબુનીયાદ આક્ષેપો સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, જે કોંગ્રેસ ખેડૂતોના નામે રાજનીતિ કરવા નીકળી છે તે કોંગ્રેસના આગેવાનોને મારે કહેવુ છે કે, તમારા શાસન વખતે ખેડૂતોની સ્થિતિ શું હતૂ ? તેનો જવાબ જનતાને આપવો જોઈએ. કોઈ મુદ્દા ના હોવાને કારણે સમાજના કોઈને કોઈ વર્ગ ઉશ્કેરવાનું દુષ્કૃત્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જ્ઞાતિજાતિ વચ્ચે વૈમનશ્ય ફેલાવવામાં કોંગ્રેસ કશું જ બાકી રાખ્યું નહોતુ. છતા પણ રાજયની શાણી જનતા અને સમજુ ખેડૂતોએ સતત છઠ્ઠી વખત ભાજપાને ગુજરાતનું સુકાન સોંપ્યુ છે ત્યારે હું ગુજરાતની જનતા અને ખેડૂતોેનો આભાર માનુ છું. વાઘાણીએ જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં ગુજરાતની ભાજપા સરકાર અનેક ખેડૂત હિતલક્ષી યોજનાઓના સફળ અમલીકરણ દ્વારા ખેડૂતોની સમૃધ્ધિ અને સુખાકારી માટે અથવા પરિશ્રમ કરી રહી છે. ત્યારે ખેડૂતો માટે નીતિઓની વાતો કરનારી કોંગ્રેસ હું પૂછવા માંગુ છું કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની શું હાલત હતી ? ગુજરાતના ગામડાઓમાં વર્ષો સુધી શુધ્ધ પીવાનું પાણી કેમ ના પહોંચાડયુ ? તમારા શાસનમાં ગામડાઓમાં આરોગ્ય સુવિધાની સ્થિતિ શું હતી ? રોડ-રસ્તાની સ્થિતિ શું હતી ? તેનો જવાબ જનતાને કોંગ્રેસ આપવો જોઈએ. વાઘાણીએ જણાવ્યું હતુ કે, હું ભાવનગર નાના સુરકા ગામને વતની છું સોનગઢથી ચાર કિલોમીટર મારું ગામ છે. મને યાદ છે કે નાનપણમાં ત્યાં રોડ કે વાહનની કોઈ સુવિધા નહોતી. ચાર કિલોમીટર સુધી ચાલીને જવુ પડતુ હતું. શાળા કે પ્રાથમિક સારવાર માટેની પણ કોઈ સુવિધા નહોતી. જયારે આજે ગુજરાતમાં તમામ ગામડાઓ સુધી પાકી સડકો છે, વાહનની સુવિધા છે, ગામડામાં ઘરે-ઘરે પીવાનું શુધ્ધ પાણી પહોંચી રહ્યુ છે ડ્રેનેજની સુવિધા છે. ૨૪ કલાક વિજળી છે. પ્રાથમિક સારવાર માટેની સુવિધાઓ છે. ગામડે ગામડે શાળાઓ અને ગુણવત્તાયુકત શિક્ષણની વ્યવસ્થા છે. ભાજપના શાસનમાં ગામડાઓ પણ શહેર સમકક્ષ સુવિધાઓ ધરાવતા બન્યા છે.