Aapnu Gujarat
ગુજરાત

નારોલમાં પ્લોટના કબજા માટે હુમલો, વોચમેનનું મોત

શહેરના નારોલ વિસ્તારમાં આવેલ રાણીપુર પાટિયા પાસેના ખુલ્લા પ્લોટનો કબજો લેવા માટે આવેલાં રપ થી ૩૦ અસામાજિક તત્ત્વોએ જમીન માલિક સહિત પાંચ લોકો પર તલવાર અને ધોકા વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ હુમલામાં ઘવાયેલા વોચમેનનું સારવાર દરમિયાન મોત થયું હતું, જયારે જમીન માલિક સહિત ચાર લોકોને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં નારોલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલામાં આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ પ્રતીક એપાર્ટમેન્ટમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નૂતનભાઇ લાલાભાઇ ભરવાડે નારોલ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરી છે. જે મુજબ, ગઇકાલે નૂતનભાઇ ભરવાડ તેમના મિત્રો સુરેશભાઇ, વનાભાઇ અને સોમાભાઇ સાથે નારોલ વિસ્તારમાં આવેલ રાણીપુર પાટિયા પાસેના તેમના ખુલ્લા પ્લોટમાં બેઠા હતા તે સમયે પ્લોટનો કબજો લેવા માટે રપ થી ૩૦ લોકો તલવાર, ધોકા, પાઇપો સહિતના ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. નૂતનભાઇ અને તેમના મિત્રો બેઠા હતા ત્યારે તમામ લોકોએ તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટના જોઇને પ્લોટની દેખરેખ કરતા વોચમેન તેજપાલ તોમર પણ નૂતનભાઇને છોડાવવા માટે દોડી આવ્યા હતા. હુમલોખોરોએ આડેધડ નૂતનભાઇ, તેજપાલ, સુરેશભાઇ વનાભાઇ અને સોમાભાઇ પર લાકડીઓ, ધોકા અને તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત નૂતનભાઇ, તેજપાલ અને સોમાભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નૂતનભાઇને માથામાં તલવાર વાગી હતી જ્યારે તેજપાલને માથામાં પાઇપના ફટકા વાગ્યા હતા. ઘટનાની જાણ નારોલ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
નારોલ પોલીસે હુમલા કેસમાં સંડોવાયેલા ઇસ્તેકહાર અહેમદ ચૌધરી, જકીલ જીતેન્દ્રભાઇ શાહ, દીપક કે. શાહ, અનિલ ટેનુભાઇ, જીતેન્દ્ર શાહ, અજય શેરસિંહ, સાદાબ, લલ્લા, રાહુલ સહિત ૧પ થી ર૦ વ્યકિતઓના ટોળા સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધી હતી. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વોચમેન તેજપાલનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર હુમલો કરનાર ઇસ્તેકહાર અહેમદ મૂળ મુંબઇનો રહેવાસી છે અને અગાઉ હત્યા કેસમાં સંડોવાયેલો છે, જેને આજીવન કેદની સજા પણ પડેલી છે જ્યારે દીપક ચકચારી અર્પિત મહેતા પર ફાયરિંગ કરીને અપહરણ કરવાના કેસમાં પણ સંડોવાયેલો છે. તાજેતરમાં તે જામીન પર છૂટીને બહાર આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઇ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Related posts

ગુજરાતની સરહદને આવરી લેતા પરિક્રમા પથ પ્રોજેક્ટના શ્રી ગણેશ, 2 હજાર કરોડના ખર્ચે થશે તૈયાર

aapnugujarat

ગોધરામાંથી ગુજરાત ATS-MTSએ 7 કરોડની 500-1000ની જૂની નોટો ઝડપી

editor

રાણાવાવમાં ગટરનું પાણી નદીમાં છોડાતા માછલીઓનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1