અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ ઉન સાથે સૂચિત શિખર મંત્રણાને આજે રદ કરી દેતા વિશ્વના દેશોમાં આશ્ચર્યનું મોજુ ફરી વળ્યું હતું. ઉત્તર કોરિયાએ તેના પરમાણુ સ્થળોને નષ્ટ કરી દેવાની ખાતરી આપી હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ સાથે વાતચીત રદ કરી દીધી છે. આ વાતચીત સિંગાપોરમાં યોજાનાર હતી. ૧૨મી જૂનના દિવસે મિટિંગ નક્કી કરવામાં આવી હતી. ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતાને લખવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે, આપના તાજેતરના જ નિવેદનમાં દર્શાવવામાં આવેલી ખુલ્લી દુશ્મનાવટ અને જોરદાર નારાજગીના અનુસંધાનમાં તેઓ માને છે કે, વાતચીત માટેનો આ યોગ્ય સમય નથી. લાંબાગાળાથી વાતચીતનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે કહ્યું છે કે, ઉત્તર કોરિયાએ વાતચીત માટેની તક ગુમાવી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, તેઓ માને છે કે, વાતચીત હજુ પણ શક્ય બનશે. પ્રમુખ તરફથી લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ વાતચીત આગામી સમયમાં શક્ય બની શકે છે. અગાઉ ગુરુવારના દિવસે ઉત્તર કોરિયાએ આગામી મહિને ટ્રમ્પ સાથે યોજાનારી શિખર વાતચીતમાંથી ખસી જવા વારંવાર ચેતવણી આપી હતી. ઉત્તર કોરિયાએ એવી ચેતવણી પણ આપી હતી કે જો જરૂર પડશે તો અમેરિકા સાથે પરમાણુ ખેંચતાણ માટે પણ તૈયાર છે. ઉત્તર કોરિયન મિડિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયા સાથે યોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું ન હતું. અગાઉ ઉત્તર કોરિયાએ ટ્રમ્પ સાથેની વાતચીત પહેલા તેની ન્યુક્લિયર ટેસ્ટ સાઇટને નષ્ટ કરી દીધી હતી. આ જગ્યાએ ઉત્તર કોરિયાએ વિદેશી પત્રકારોની હાજરીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કર્યા હતા. પરમાણુ પરીક્ષણો કર્યા હતા. આજના ઘટનાક્રમની અસર લાંબાગાળે જોવા મળી શકે છે.
આગળની પોસ્ટ