નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ પાછળ મેટ્રોની કામગીરી દરમ્યાન પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડતાં લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું. પાણીનો બગાડ સતત પાંચ કલાક સુધી ચાલું રહેતા રોડ પર પાણી ભરાઈ ગયું હતું. જેને પગલે વિસ્તારમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો ભોગ બનવું પડયું હતું. શહેરના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાછળ મેટ્રો રેલના પ્રોજેકટની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન ખોદકામ વખતે અચાનક જ પાણીની પાઇપલાઇન તૂટી જતાં તેમાં ભંગાણ સર્જાયુ હતું. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં એકાએક તેમાંથી પૂરા ફોર્સથી પાણી નીકળવા માંડયુ હતુ અને રસ્તાની ચારેકોર પાણી જ પાણી વહેવા માંડયુ હતું. થોડી જ વારમાં તો, આ રસ્તા પરના સમગ્ર પટ્ટામાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળતા હતા. જાણ કે, આ વિસ્તારમાં થોડીવાર માટે ધોધમાર વરસાદ પડયો હોય અને પાણી ભરાઇ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાઇ ગયા હતા. ગણતરીના કલાકોમાં જ હજારો લિટર પાણી વેડફાઇ ગયુ હતું. સૌથી નોંધનીય અને આશ્ચર્યજનક વાત તો એ છે કે, પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયા બાદ કલાકો સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સ્થળ પર દેખાયા સુધ્ધાં ન હતા. તેમની આ બેદરાકરીના કારણે ઉનાળાના ગરમીમાં બહુમૂલ્ય એવું હજારો લિટર પાણી વેડફાઇ ગયું હતું. બીજીબાજુ, હજારો લિટર પાણી રસ્તા પર વેડફાઇ જતાં અને એટલા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો ભોગ બનવું પડયું હતું. ભરઉનાળે આટલુ બધુ પાણી રસ્તા પર ભરાયેલું જોઇ સૌકોઇ આશ્ચર્યચકિત થઇ જતા હતા કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા પર આટલુ બધુ પાણી આવું કયાંથી? એકબાજુ અમ્યુકો તંત્ર અને રાજય સરકાર પાણી બચાવો અને પાણી ના વેડફોની ઝુંબેશ અને પોકાર કરી કરીને પ્રજાજનોને પાણી પહોંચાડવાની ઠાલી વાતો કરે છે ને બીજીબાજુ, તંત્રના વાંકે જ આ પ્રકારે હજારો લિટર પાણી અમદાવાદ સહિત રાજયના વિવિધ સ્થળોએ વેડફાઇ જતુ હોય છે તો આ માટે જવાબદાર કે કસૂરવાર લોકો સામે કેમ પગલાં ભરાતા નથી તેવા પ્રશ્નો પણ નાગરિકો દ્વારા પૂછાતો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ