આઈપીએલ મેચ મોડી રાત્રે પૂર્ણ થતા હોવાથી બીસીસીઆઈએ આ વર્ષની લીગમાં અર્થાત ૧૧મી સીઝનમાં પ્લેઓફ મુકાબલા તેમજ ફાઈનલ માટે સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી. શુક્લાએ જણાવ્યું કે પ્લે ઓફ અને ફાઈનલ મેચો રાત્રે ૮ના બદલે ૭ વાગ્યાથી રમાશે.શુક્લાએ જણાવ્યું કે, ‘આઈપીએલ સંપૂર્ણ રીતે ફેન્સ માટે જ છે. દર્શકોના લાભ માટે આ નિર્ણય લેવાયો છે કે પ્લે ઓફ અને ફાઈનલ મેચો એક કલાક પહેલા શરૂ થશે. મેચો મોડી રાત સુધી ચાલતી હોવાથી સ્ટેડિયમમાં રહેલા જ નહીં પરંતુ ટીવી પર નિહાળી રહેલા દર્શકોને પણ પરેશાની થાય છે. જો મેચ એક કલાક વહેલા શરૂ થાય તો બીજા દિવસે ઓફિસ, સ્કૂલ અને કોલેજ જતા લોકોને કોઈ જ મુશ્કેલી પડે નહીં.’આઈપીએલ મેચો મોડી સમાપ્ત થતી હોવાથી સ્ટેડિયમમાં હાજર ફેન્સને ઘરે પરત જવામાં પરેશાની થાય છે તેમજ ઘરે ટીવીમાં મેચ નિહાળી રહેલા દર્શકોને પણ વહેલા ઊંઘવા મળે નહીં. જો આ વખતે સમયમાં ફેરફારની રણનીતિ કારગર નિવડશે, તો આગામી વર્ષથી બની શકે કે તમામ મેચો સાંજે ૭ વાગ્યાથી શરૂ કરવામાં આવે.આઈપીએલની ૧૧મી સીઝુમાં ૨૨મેના મુંબઈમાં પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે અને ૨૭મી મેના ફાઈનલ મેચનું આયોજન છે. ૨૩મેના કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં એલિમિનેટર જ્યારે ૨૫મેના બીજી ક્વોલિફાયર મેચો રમાશે.