રેડ કોરિડોરના કદને ઘટાડવામાં ઉલ્લેખનીયરીતે સફળતા મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર હવે નક્સલીઓના ફંડિંગ ઉપર બ્રેક મુકવા માટે કમરકસી ચુકી છે. આના માટે જુદી જુદી ટીમની રચના પણ કરવામાં આવી ચુકી છે. કેન્દ્ર સરકારે નક્સલવાદીઓના ફંડિંગને રોકવા માટે મલ્ટી ડિસિપ્લીન ગ્રુપની રચના કરી દીધી છે. આ જુદા જુદા ગ્રુપ દ્વારા નક્સલીઓના ફંડિંગ ઉપર નજર રાખવામાં આવશે. નક્સલીઓની ફંડિંગનો આંકડો વાર્ષિક ૧૨૫ કરોડની આસપાસનો પહોંચ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આ મલ્ટી ડિસિપ્લીન ગ્રુપની રચના કરવામાં આવી છે જેમાં એનઆઈએ, સીબીઆઈ, ઇડી, ડીઆરઆઇના અધિકારીઓને આવરી લેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસના અધિકારીઓને પણ આ ગ્રુપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. એનઆઈએની ટીમ લેફ્ટ વિંગ કટ્ટરવાદના મામલામાં ઉંડી તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં હવે તેમના ફંડિંગ ઉપર બ્રેક મુકવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. નોટબંધી દરમિયાન એક કરોડ રૂપિયાની રોકડ રકમ જે નક્સલવાદીઓ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર લોકોની હતી તે જપ્ત કરવામાં આવી ચુકી છે. એનઆઈએમાં પણ મહત્વના કેસોને હાથ ધરવા માટે એક અલગ ગ્રુપની રચના કરવામાં આવી રહી છે. નક્સલવાદના સંદર્ભમાં વધુ માહિતી ધરાવનાર પીવી રમન્નાનું કહેવું છે કે, માઓવાદી દ્વારા દેશભરમાં વાર્ષિક વસુલાતનો આંકડો ૧૨૫થી ૧૪૦ કરોડની વચ્ચેનો રહ્યો છે. ફાઈનાન્સિયલ લાઇફ લાઈનને લઇને ગૃહ મંત્રાલય ખુબ જ આક્રમક છે. માઓવાદીઓ દ્વારા વર્ષે જુદી જુદી રીતે ૧૨૫ કરોડથી વધુની રકમ ઉભી કરવામાં આવે છે. આ રકમ નક્સલીઓના લોકો અને તેમના પરિવારના સભ્યોના કલ્યાણ માટે પણ ખર્ચ કરવામાં આવે છે.
પાછલી પોસ્ટ