છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ આજે સાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જિલ્લામાં સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં આ નક્સલીઓ માર્યા ગયા હતા. હાલમાં આ એન્કાઉન્ટરને લઇને વધારે માહિતી મળી શકી નથી. નક્સલવાદીઓ સામે મોટુ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ સપ્તાહમાં જ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સુરક્ષા દળોને ૨૨મી એપ્રિલના દિવસે અભૂતપૂર્વ સફળતા હાથ લાગી હતી. હજુ સુધીના સૌથી મોટા ઓપરેશન પૈકીના એક ઓપરેશનને પાર પાડીને સુરક્ષા દળોએ ઓછામાં ઓછા ૧૪ માઓવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માઓવાદીઓ સામેના આ ઓપરેશનમાં કુલ ૩૭ માઓવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા ત્રીજી એપ્રિલના દિવસે મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર મારી દીધા હતા જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ઇતાપલ્લીના બોરિયા વન્ય વિસ્તારમાં થઇ હતી. ગઢચિરોલીના આ એન્કાઉન્ટરમાં નક્સલવાદી લીડર સાઈનાથ અને સિનુ નામના કુખ્યાત નક્સલીઓ પણ માર્યા હતા.દેશમાં નક્સલવાદી ગતિવિધીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાના અહેવાલ હાલમાં જ જારી કરવામાં આવ્યા હતા. હાલમાં નક્સલવાદી પ્રભાવિત દેશના ૧૨૬ જિલ્લા પૈકી સરકારે ૪૪ જિલ્લાને નક્સલવાદીમુકત જાહેર કરી દીધા હતા. જો કે આઠ નવા જિલ્લા નક્સલવાદી પ્રભાવિત વિસ્તારમાં સામેલ કરી દેવામાં આવ્યા હતા. સૌથી વધારે નક્સલવાદી પ્રભાવિત જિલ્લાની સંખ્યા ૩૫થી ઘટીને ૩૦ સુધી પહોંચી ગઇ છે. સુરક્ષા દળો દ્વારા હાલના સમયમાં કરવામાં આવેલી કાર્યવાહીને આના માટે જવાબદાર ગણવામાં આવે છે. બિહાર અને ઝારખંડના પાંચ જિલ્લા અતિ નક્સલવાદી પ્રભાવિત ટૈગમાંથી મુક્ત થઇ ગયા છે. આ જિલ્લામાં ઝારખંડના ડુમકા, પૂર્વીય સિંહભુમ તથા રામગઢ તેમજ બિહારના નવાદા અને મુજ્જફરપુરનો સમાવેશ થાય છે.
પાછલી પોસ્ટ