કચ્છના ભીમાસર ગામે આંબેડકરની પ્રતિમાને જુતાનો હાર પહેરાવ્યાની ઘટનાના રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખાસ કરીને દલિતસમાજમાં આ ઘટનાને પગલે ઉગ્ર આક્રોશ ફેલાયો છે. ૨૪ કલાક બાદ પણ આરોપીઓની હજુ સુધી ધરપકડ નહી થતા રોષે ભરાયેલા દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કચ્છમાં રસ્તાઓ, હાઇવે અને રેલ્વે ટ્રેક બ્લોક કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યો હતો. જેને પગલે કચ્છ તરફ જતો-આવતો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. દલિતોના રેલવે ટ્રેક પર ધરણાને પગલે કચ્છ તરફના રેલ્વે વ્યવહારને પણ અસર થઇ હતી. કચ્છના અંજાર તાલુકાના ભીમાસર ગામે આંબેડકરની પ્રતિમાને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બુધવારે રાત્રે જુતાનો હાર પહેરાવી દેવાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા અને જોરદાર ઉહાપોહ અને હોબાળો મચાવ્યો હતો. દલિતસમાજ તરફથી ૨૪ કલાકની અંદર આ કૃત્ય કરનારાને પકડવા માટે પોલીસને ચેતવણી આપી હતી.
જો કે, સ્થાનિક પોલીસ આરોપીને પકડી ન શકતા દલિતોએ આજે કચ્છ-ગાંધીધામ તરફ જતા રેલવે ટ્રેકને બ્લોક કરી દીધો હતો, જેના કારણે અનેક ટ્રેનોને વિવિધ સ્ટેશનોએ અટકાવવી પડી હતી. એટલું જ નહી, રોષ ભરાયેલા દલિતોના ટોળાંએ ભચાઉ-અંજાર હાઈવે પણ બ્લોક કરી દેતા ગાંધીધામ તેમજ ભૂજ તરફ જતો ટ્રાફિક અટવાઈ ગયો હતો. ભીમાસર ગામના સરપંચ દિનેશ ટુંગરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ જ્યાં સુધી આરોપીઓને નહીં પકડે ત્યાં સુધી અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સ્થિતિની ગંભીરતાને જોતા વધારાનો પોલીસ કાફલો વિવિધ હાઈવે પર તૈનાત કરવામાં આવ્યો છે. અંજાર અને ભચાઉ તાલુકામાં પણ હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. સ્થિતિ વણસે નહીં તે માટે અહીં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દલિત સમાજમાં ઘટનાને લઇ પ્રવર્તી રહેલા ઉગ્ર આક્રોશના પડઘા રાજયમાં બીજા કોઇ સ્થળોએ ના પડે તેમા માટે પણ રાજય પોલીસ તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવાયા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ